બ્રેકિંગ@ગુજરાત: કોંગ્રેસ પ્રવક્તા બદરૂદ્દીન શેખ નારાજ, તમામ હોદ્દા પરથી રાજીનામું
અટલ સમાચાર, અમદાવાદ
વિધાનસભાની પેટાચૂંટણીમાં ટિકિટ ન મળતાં નારાજ થયેલા કૉંગ્રેસના દિગ્ગજ નેતા જયરાજસિંહની રાજકારણ અને કૉંગ્રેસ છોડવાની ગતિવિધ શાંત નથી પડી ત્યાં કૉંગ્રેસ માટે વધુ એક આફત સર્જાઈ છે. અમદાવાદ શહેરના કૉંગ્રેસી કાઉન્સિલર અને પ્રદેશ કૉંગ્રસ સમિતિના પ્રવક્તા બદરૂદ્દીન શેખે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો છે. બહેરામપુરા વૉર્ડની પેટાચૂંટણીમાં આયાતી ઉમેદવાર ઉતારાતા બદરૂદ્દીન શેખ નારાજ થયા હતા. શેખના રાજીનામાની સાથે જ 13 સદસ્યોએ પણ કૉંગ્રેસના વિવિધ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે.
બદરૂદ્દીન શેખ આ મામલે પ્રેસ કૉન્ફરન્સ કરીને મોટો ધડાકો કર્યો છે. કૉંગ્રેસમાં એક પછી એક નેતાઓ પાર્ટીનું દામન છોડી રહ્યા છે. અગાઉ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પક્ષ છોડી ગયા છે. તેમના પહેલાં પણ કૉંગ્રેસના સિનિયર ધારાસભ્યોએ કૉંગ્રેસને અલવિદા કહી દીધું છે. આજે જયરાજસિંહ પરમારે પણ ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. મુસ્લિમ અગ્રણી અને કૉંગ્રેસના નેતા પેટાચૂંટણીની ટિકિટના કારણે નારાજ છે. તેમના મતે આયાતી ઉમેદવારને ટિકિટ મળતા વૉર્ડની ચૂંટણી હારી જવાની ભીતી છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે બદરૂદ્દીન શેખની નારાજગી દૂર નહીં કરવામાં આવે તો પાર્ટીને ભારે પડી શકે છે.