બ્રેકિંગ@ગુજરાત: 4 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી જાહેર, જાણો ક્યારે યોજાશે?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી જાહેર થઈ ગઈ છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા 10 રાજ્યોની 24 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. આગામી 21 જૂન, 2026ના રોજ ગુજરાતના 4 સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે 18 જુને રાજ્યસભાના સાંસદ માટે ચૂંટણી યાજાશે. ગુજરાતના રાજ્યસભાના સાંસદો રામભાઈ મોકરીયા, અમીન યાજ્ઞિક, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબેન બારા નિવૃત્ત થતાં રાજ્યસભાની બેઠકો ખાલી પડશે. જેથી ખાલી પડેલી બેઠકો પર 18મી જૂને સવારે 9 થી સાંજના 4 વાગ્યા સુધી મતદાન અને તે જ દિવસે સાંજે 5 વાગ્યે મતગણતરી થશે.
આ માટે 1લી જૂને જાહેરનામું બહાર પડશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 8મી જૂન નક્કી કરાઈ છે. મતદાન માટે પંચ દ્વારા ફિક્સ કરાયેલી ખાસ વાયોલેટ સ્કેચ પેનનો જ ઉપયોગ કરવાનો રહેશે. પહેલીવાર રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસ મુક્ત બનવા જઈ રહી છે. માત્ર 12 ધારાસભ્યો એક બેઠક પણ સાચવી શકે તેમ નથી. લોકસભામાં કોંગ્રેસ પાસે 26 માંથી માત્ર એક બેઠક છે.
વિધાનસભામાં માત્ર 12 બેઠક હતી, રાજ્યસભામાં માત્ર એક બેઠક કોંગ્રેસ પાસે રહી હતી, હવે એ પણ નહિ હોય. લોકસભા, વિધાનસભા બાદ રાજ્યસભામાં પણ ગુજરાતમાં કોંગ્રેસનો સફાયો નિશ્ચિત બન્યો છે. સમ ખાવા પૂરતી એક બેઠક પણ નહિ મળે. હાથમાં હતી એ બેઠક પણ જતી રહેશે. તેથી હવે કોંગ્રેસના એકમાત્ર રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પાસે પણ પદ નહિ રહે. દાહોદના દેવગઢ બારીયા નગરપાલિકામાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. વ્હીપનો ભંગ કરનાર ભાજપના 6 સભ્યો સસ્પેન્ડ કરાયા છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે.

