બ્રેકિંગ@ગુજરાત: કલમ 370 હટાવતાં હાઇએલર્ટ, પોલીસને ખડેપગે રહેવા આદેશ
અટલ સમાચાર, ડેસ્ક
કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના મામલે રાષ્ટ્રીય હિત, રાષ્ટ્રીય સુરક્ષાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો અસાજિક તત્વો ગેરલાભ ના ઉઠાવે અને સુરક્ષા શાંતિ ગુજરાત સહિત દેશભરમાં જળવાઈ રહે તેની તકેદારી રાખવા રાજ્ય પોલીસ વડાએ આદેશ કર્યા છે. દેશભરમાં આનંદાશ્ચર્ય ફેલાવતા અને ઐતિહાસિક ઝડપે લેવાયેલા જમ્મુ અને કાશ્મીર સંબંધી બંધારણની કલમ 370 રદ કરવાના નિર્ણયના પગલે રાજ્યમાં પણ શાંતિ જળવાઈ રહે તેવા સઘન પગલાં ભરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે તમામ રાજ્યોના મુખ્ય સચિવ અને પોલીસ વડા ને પાઠવેલા સંદેશાના પગલે આ આદેશો ફરમાવવામાં આવ્યા છે. રાજ્યનાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ મંદિર, અંબાજી મંદિર સહિતના યાત્રધામો અને બોર્ડર તથા દરિયાઇ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જયારે ગુજરાતમાં પ્રવેશના તમામ માર્ગો પર ઠેર ઠેર નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે સોશિયલ મીડિયા પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના મોટા શહેરોમાં પણ પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
ગુજરાતના સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો બદોબસ્ત રાખવા સાથે સતત પેટ્રોલિંગ કરવા માટે સૂચનાઓ આપી છે. કેટલાક તત્વો શાંતિને ડહોળાવવા માટે સોશિયીલ મિડિયામાં ખોટો મેસેજો ફરતા કરનાર તત્વો ઉપર સાયબર સેલને વોચ રાખીને ઝડપી લેવા માટે જણાવ્યુ છે. કેન્દ્ર સરકારના નિર્દેશોના પગલે રાજયના પોલીસ વડા શીવાનંદ ઝાએ આજે બપોરના સાયબર સેલ, ગુજરાત ત્રાસવાદી વિરોધી દળ, રાજયના તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને વિડીયો કોન્ફસન્સથી તકેદારી રાખવા માટે નિર્દશો આપ્યા હતા.
જમ્મુ-કાશ્મીરના ગુજરાતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વિશેષ સુરક્ષા રાખવા માટે રાજય પોલીસ વડાએ તાબાના અધિકારીઓને કડક સુચના આપી છે. આ વિદ્યાર્થીઓને સુરક્ષા પુરી પાડીને તેમનો આત્મવિશ્વાસ જળવાઈ રહેવો જોઈએ.