બ્રેકિંગ@પાલનપુર: પ્રમુખ વિરૂધ્ધ 17 નગરસેવકોનો અવિશ્વાસ, ગંભીર આક્ષેપ
અટલ સમાચાર, પાલનપુર
પાલનપુર પાલિકાના પ્રમુખ વિરૂધ્ધ 17 નગરસેવકોએ આજે અચાનક અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા ખળભળાટમ મચી ગયો છે. પ્રમુખ અશોક ઠાકોરને હોદ્દા ઉપરથી દૂર કરવા સભ્યોએ કવાયત હાથ ધરી હોઇ રાજકીય ઘમાસાણ તેજ બન્યુ છે. વહીવટ ખાડે ગયો હોવાનું, ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો અને સભ્યોને વિશ્વાસમાં લીધા વગર મનસ્વિ કાર્યસુચિ કરતા હોવાના કારણો આપી અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાની પાલનપુર નગરપાલિકામાં સત્તાધિન ભાજપી નગરસેવકો વચ્ચે આંતરિક ઘમાસાણ સામે આવ્યુ છે. પાલિકા પ્રમુખ અશોક ઠાકોરને ખુરશી પરથી દૂર કરવા એકસાથે 17 નગરસેવકોએ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરી દીધો છે. જેને લઇ ડીસા બાદ પાલનપુર પાલિકામાં પણ ભાજપી નગરસેવકો વચ્ચે જૂથવાદ સામે આવ્યો છે. એકતરફી કાર્યસુચિ કરી સભા આટોપી લેતા હોવાનો પ્રમુખ વિરૂધ્ધ નગરસેવકોએ સનસનીખેજ આક્ષેપ કરી દરખાસ્ત મુકી છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, અશોક ઠાકોરને પાલિકા પ્રમુખ બન્યાને ગણતરીના મહિનાઓને અંતે પોતાના સાથી નગરસેવકોનો વિશ્વાસ ગુમાવવો પડ્યો છે. સત્તાની સાઠમારી વચ્ચે 17 કોર્પોરેટરોએ નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 36 મુજબ પ્રમુખને દૂર કરવા અવિશ્વાસ પ્રસ્તાવ આપ્યો છે. જેને લઇ હોદ્દો જાળવી રાખવા અને ક્લિન બોલ્ડ કરવા એક જ પાર્ટીના બે રાજકીય જૂથ વચ્ચે ખેંચતાણ ચરમસીમાએ ગઇ છે. અવિશ્વાસને પગલે જીલ્લા ભાજપ માટે બે પાલિકાનો પ્રશ્ન ઉભો થયો છે.