બ્રેકિંગ@સોનગઢ: વિદ્યાર્થીઓના યુનિફોર્મ દબાવી રાખ્યાની તપાસ પૂર્ણ, મજબૂત કાર્યવાહી થાય તેવો રીપોર્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સોનગઢ ખાતે આવેલી આદીજાતી વિકાસ વિભાગ હેઠળની આદર્શ નિવાસી 3 શાળામાં ધો.10 ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ગણવેશ નહિ આપવાની ચોંકાવનારી બૂમરાણ મચી છે. જેના અહેવાલ બાદ મદદનીશ કમિશ્નર અને પ્રાયોજના કચેરીના પ્રામાણિક પ્રયાસોથી તપાસ પૂર્ણ થઈ છે. આ તપાસ રીપોર્ટ ગાંધીનગર સ્થિત વિભાગને મોકલી આપ્યો છે ત્યારે તપાસ રીપોર્ટ મજબૂત હોવાનું સામે આવ્યું છે. પ્રાયોજના કચેરીથી જાણ થઈ કે, યુનિફોર્મ નથી આપ્યા એ સત્ય ઠર્યું ત્યારે શિક્ષક અને આચાર્યની જવાબદારી શોધી તપાસ રીપોર્ટ મોકલી અપાયો છે. આટલુ જ નહિ, એટલો મજબૂત તપાસ રીપોર્ટ છે કે, વિભાગ ધારે તો દાખલારૂપ કાર્યવાહી કરી શકે તો નવાઇ નહિ. આ સાથે ગણવેશ નહિ મળવા બાબતે શાળાના આચાર્ય દ્વારા બચાવમાં આપેલી દલીલો ટકવાપાત્ર રહિ નથી. વાંચો સ્પેશ્યલ રિપોર્ટ.
તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલી આદર્શ નિવાસી ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા શાળામાં ગત ધો.10 ના વિદ્યાર્થીઓ માટે સરકારે યુનિફોર્મ અને બુટ મોજાનો ખર્ચ ઉઠાવ્યો હતો. જોકે આ દરવર્ષની યોજના હોઈ વિભાગ મદદનીશ કમિશ્નર કચેરીને ગ્રાન્ટ આપે જ છે. જોકે ગત વર્ષના ધો.9 ના વિદ્યાર્થીઓ અપૂરતી સંખ્યામાં યુનિફોર્મ અપાયો હતો અને ધો.10 ના વિદ્યાર્થીઓને એકપણ યુનિફોર્મ આપ્યો ના હતો. આ બાબતે અટલ સમાચાર ડોટ કોમ દ્વારા અહેવાલ બાદ તાપી મદદનીશ કમિશ્નર કચેરીને તેઓની વડી કચેરીએથી મળેલ સુચના મુજબ તપાસ કરી હતી. સોનગઢ પ્રાયોજના વહીવટદારની કચેરીએ પણ યુનિફોર્મ દબાવી રાખ્યાની મજબૂત તપાસ કરાવવા પ્રયાસ કર્યો હતો. આખરે તપાસ રીપોર્ટ પ્રાયોજના વહીવટદાર મારફતે ગાંધીનગર સ્થિત વિભાગને સુપ્રત થયો છે ત્યારે તપાસ રીપોર્ટ એકદમ મજબૂત હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પ્રાયોજના વહીવટદારે જણાવ્યું હતું કે, જવાબદારી તો શિક્ષક અને આચાર્યની થાય છે ત્યારે વિભાગ નિર્ણય લેશે. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, તપાસમાં એ વાત સિદ્ધ થાય છે કે, ત્રણેય શાળામાં ધો.10 ના વિદ્યાર્થીઓના હક્કનો યુનિફોર્મ દબાવી દેવાયો હતો. એટલે કે, ધો.10 ના છોકરા, છોકરીઓએ યુનિફોર્મ વગર આખું વર્ષ પૂર્ણ કર્યું હતુ. આ બાબતે તપાસ દરમ્યાન શાળાનાં 2 આચાર્યે બચાવ કર્યો હતો કે, યુનિફોર્મ વિલંબથી મળ્યો હતો પરંતુ અન્ય શાળાઓએ તો આપી દીધો હતો. આ અંગે આચાર્ય સોંદરવા અને મનિષભાઇએ બચવા માટે ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ પ્રામાણિક તપાસ અધિકારીને કારણે તપાસ રીપોર્ટ મજબૂત તૈયાર થયો છે. આથી હવે જો વિભાગ ધારે તો દાહોદ મનરેગા કૌભાંડની જેમ એજન્સી અને અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા સુધીના પગલાં લઈ શકે છે. અમોને મળેલી જાણકારી મુજબ તપાસ રીપોર્ટ એટલો મજબૂત છે કે, કડકમાં કડક કાર્યવાહી થાય તેવી શક્યતા છે.