બ્રેકીંગ@દિલ્હી: શું અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડ પર કરશે મોટો ખુલાસો? ED આજે કોર્ટમાં કરશે રજૂ

 
અરવિંદ કેજરીવાલ

EDએ દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં તેની તપાસનો વિસ્તાર વધારી દીધો છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના 6 દિવસના રિમાન્ડ આજે પૂરા થઈ રહ્યા છે. જેથી કેન્દ્રીય એજન્સી કેજરીવાલને આજે બપોરે 2 વાગ્યે રાઉસ એવન્યુ કોર્ટમાં રજૂ કરશે.સૂત્રોને ટાંકીને મળતા અહેવાલ મુજબ, EDના રિમાન્ડ પૂરા થયા બાદ CBI આજે અરવિંદ કેજરીવાલની કસ્ટડી માંગી શકે છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીના પત્ની સુનીતા કેજરીવાલે બુધવારે એક વીડિયો સંદેશમાં દાવો કર્યો હતો કે, તેમના પતિ દારૂ કૌભાંડ કેસને લઈને ગુરુવારે એટલે કે આજે કોર્ટમાં ‘મોટો ખુલાસો’ કરશે.કરશે

EDએ દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં તેની તપાસનો વિસ્તાર વધારી દીધો છે. બુધવારે EDએ આમ આદમી પાર્ટીના ગોવા યુનિટના પ્રમુખ અમિત પાલેકર સહિત 4 લોકોને સમન્સ પાઠવ્યા હતા અને પૂછપરછ માટે બોલાવ્યા હતા. આજે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી પર પણ સુનાવણી થવાની છે જેમાં કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલ EDની કસ્ટડીમાં છે, તેઓ સરકાર ચલાવી શકતા નથી, તેથી કોર્ટે તેમના રાજીનામાનો આદેશ પસાર કરવો જોઈએ.

AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટે તેમને 28 માર્ચ સુધી એજન્સીની કસ્ટડીમાં મોકલ્યા હતા. અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે બુધવારે દાવો કર્યો હતો કે, EDના વિવિધ દરોડામાં એક પણ પૈસો મળ્યો નથી અને ગુરુવારે તેમના પતિ કથિત એક્સાઇઝ નીતિ કૌભાંડમાં કોર્ટમાં ‘મોટો ખુલાસો’ કરશે. ડિજિટલ પ્રેસ કોન્ફરન્સમાં સુનીતા કેજરીવાલે કહ્યું કે, તેમના પતિ 28 માર્ચે કોર્ટમાં કથિત દારૂ કૌભાંડ અંગે સત્ય જણાવશે અને પુરાવા પણ રજૂ કરશે. જ્યારે તે તેના પતિને મળી હતી, જે ED કસ્ટડીમાં છે, ત્યારે તેના પતિએ તેને કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં, આ કેન્દ્રીય એજન્સીએ કથિત દારૂ કૌભાંડમાં 250થી વધુ દરોડા પાડ્યા છે પરંતુ અત્યાર સુધી ‘ આ દરોડામાં એક પણ પૈસો મળ્યો નથી.

સુનીતા કેજરીવાલે દાવો કર્યો હતો કે, EDએ ‘AAP‘ નેતાઓ મનીષ સિસોદિયા, સંજય સિંહ અને સત્યેન્દ્ર જૈનના સ્થળો પર દરોડા પાડ્યા હતા પરંતુ પૈસા મળ્યા નહીં. EDએ મુખ્યમંત્રીના નિવાસસ્થાને દરોડા પાડ્યા પરંતુ માત્ર 73,000 રૂપિયા જ મળ્યા. તેમણે સવાલ કર્યો કે ‘કથિત દારૂ કૌભાંડ’ના પૈસા ક્યાં છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને AAPના રાજ્યસભા સદસ્ય સિંહની ગયા વર્ષે એક્સાઈઝ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.