બજેટ@ગુજરાત: ટ્રાફિકના વધતા પ્રશ્નોને દૂર કરવા હાઈસ્પીડ કોરીડોર વિકસાવવા બજેટમાં કુલ 1020 કરોડની ફાળવણી

આ નવા કોરીડોર્સ ટ્રાફિકને દૂર કરશે અને યાત્રા માટે વધુ સગવડતા પેદા કરશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતના બજેટમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યની પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત અને સરળ બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. ગુજરાતમાં ટ્રાફિકના વધતા પ્રશ્નોને દૂર કરવા માટે અને યાત્રાઓને વધુ સગવડદાયક બનાવવા માટે 12 નવી હાઈસ્પીડ કોરીડોર્સ વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઊર્જા સુરક્ષા માટે 2030 સુધીમાં રીન્યુએબલ એનર્જીનો લક્ષ્યાંક વધારીને 100 ગીગા વોટથી વધુ કરવાનું આયોજન છે. રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓ માટે હાઈસ્પીડ કોરીડોર તેમજ એકસપ્રેસ વે વિકસાવવા માટે આ બજેટમાં કુલ ₹1020 કરોડની જોગવાઇ સૂચવું છું. "ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર" પ્રોજેકટ હેઠળ ૧૩૬૭ કિ.મી.ના 12 નવીન હાઇસ્પીડ કોરીડોર વિકસાવવામાં આવશે.
વધુમાં રાજ્યમાં બે નવા એક્સપ્રેસ-વે વિકસાવવામાં આવશે. જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવ રસ્તાને "નમોશક્તિ એક્સપ્રેસ-વે" તરીકે વિકસાવવામાં આવશે. અમદાવાદથી રાજકોટ અને તેનું એક્ષટેન્શન દ્વારકા, સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક, પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતાં "સોમનાથ દ્વારકા એક્સપ્રેસ-વે" તરીકે વિકસાવવામાં આવશે. મહત્વના પ્રવાસન સ્થળોને હવાઇ માર્ગે જોડવાનું આયોજન છે. ભારત સરકારના સહકારથી સુરત, વડોદરા, ભાવનગર અને પોરબંદર એરપોર્ટના વિસ્તરણ તથા દાહોદ ખાતે ગ્રીનફીલ્ડ એરપોર્ટ બનાવવાનું આયોજન છે.
આ "ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર" પ્રોજેક્ટ હેઠળ 1367 કિ.મી. લાંબા હાઈસ્પીડ કોરીડોર્સનું નિર્માણ કરવામાં આવશે. આ નવા માર્ગો રાજ્યના મુખ્ય શહેરો અને વિસ્તારોને જોડશે, જેનાથી મુસાફરીનો સમય ઘટી જશે અને વાહનચાલકોને ખૂબ રાહત મળશે. હાલના ટ્રાફિક સંકટને ધ્યાનમાં રાખતા, આ નવા કોરીડોર્સ ટ્રાફિકને દૂર કરશે અને યાત્રા માટે વધુ સગવડતા પેદા કરશે. આ પ્રોજેક્ટના પરિણામે રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થશે. વધુ વ્યવસાય અને રોજગારીના તકો ઉભા થશે. વધુ એકસપ્રેસ માર્ગો અને કોરીડોર્સના કારણે લોકો વધુ ઝડપી અને સારા રસ્તાઓનો લાભ લઈ શકે છે.