ખળભળાટ@વાવ: ગ્રામ પંચાયતના 7 લાખ બારોબાર ઉપડી ગયા, તલાટી સામે શંકા
અટલ સમાચાર, મહેસાણા
વાવ તાલુકાની ગ્રામ પંચાયતના બેંક ખાતાની રકમ બારોબાર ઉપડી જતાં ખળભળાટ મચી ગયો છે. નાણાંપંચની 7 લાખની રકમ ચેક મારફત ઉપડી જતાં દોડધામ મચી ગઇ છે. તાલુકા પંચાયતે તલાટીના રિપોર્ટ બાદ ચાર્જ લઈ લીધો છે. ડીડીઓ દ્વારા પોલીસ ફરીયાદના આદેશ થઇ શકે છે.
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાની અસારા ગ્રામ પંચાયતને 7 લાખનું ગાબડું પડ્યું હતું. જેની જાણ છેક 2 મહિના બાદ થતાં પંચાયત આલમમાં ચકચાર મચી ગઇ છે. તલાટી અને સરપંચે દેના બેંકમાં જઈ પાસબુકમાં એન્ટ્રી કરાવતાં ખબર પડી કે રૂપિયા 7 લાખ બારોબાર ઉપડી ગયા છે. તાલુકા પંચાયતે તલાટી પાસે રિપોર્ટ મંગાવતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
તલાટી ચિરાગ પટેલે બે ચેક ચોરી થયાનું કારણ આપ્યું છે. જેની સામે આશંકા જતાં ટીડીઓ દ્વારા તલાટીનો ચાર્જ છીનવી લેવાયો છે. આ તરફ જિલ્લા વિકાસ અધિકારીને જાણ થતાં તાત્કાલિક અસરથી ટીડીઓને બોલાવી લેવાયા છે. જેથી ટૂંક સમયમાં પોલીસ ફરિયાદ દાખલ થઇ શકે છે.
પૈસા લેવા હોય તો બધી પંચાયતનાં ઉપાડી લઉ ને
આ અંગે તલાટી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, જો મારે નાણાપંચના પૈસાની ઉચાપત કરવી જ હોત તો મારી પાસે ચાર્જવાળી તમામ પંચાયતના નાણા ઉઠાવી લોંચ.
ગામનો વિકાસ ખોરંભે ચડી ગયો
ઉચાપત થયેલી નાણાં પંચની 7 લાખની રકમથી ગામમાં નવીન રસ્તા, આંગણવાડીનું સમારકામ સહિતના વિકાસલક્ષી કામો થવાના હતા. જે હાલ તો ખોરંભે ચડી ગયાનું ગ્રામજનો માની રહ્યા છે.
તલાટી અને સરપંચની ભૂમિકા શંકાસ્પદ
તાલુકા પંચાયતના સૂત્રોએ જણાવ્યું હતું કે, જો ચેક ચોરાય તો પણ સહી નગર રકમ ઉપડી શકે નહિ. ખોટી સહિ બેંકમાં મેચ થાય પણ નહિ. આથી સરપંચ અને તલાટીની ભૂમિકા શંકાસ્પદ જણાય છે.