ખળભળાટ@મહેસાણા: 3 ભાઇઓએ અંધારી રાતે ONGCના તેલ કૂવા બંધ કર્યા
અટલ સમાચાર, મહેસાણા
ઓએનજીસીના મહેસાણા એસેટ હેઠળના તેલ કૂવાને લઇ ચોંકાવનારી વિગતો સામે આવી છે. ત્રણ આરોપીઓએ કોઈ કારણસર અડધી રાત્રે 7 તેલ કૂવા બંધ કરી દીધા હતા. આ તરફ ક્રૂડ ઓઇલ નહિ આવતાં ઈજનેરોએ તપાસ કરી તો ચોંકી ગયા હતા. 10 દિવસ સુધી ક્રૂડ ઓઇલનુ ઉત્પાદન બંધ રહેતા ઓએનજીસીને 23 લાખ 60 હજારનું નુકસાન થયું છે. આ અંગેની પોલીસ ફરિયાદ સાંથલ પોલીસ મથકે નોંધાવતાં ખળભળાટ મચી ગયો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા તાલુકાના જોટાણા તાલુકાના ગોવિંદવાડી વિસ્તારમાં ઓએનજીસીના કૂવા આવેલા છે. જ્યાંથી અધિકારી અને ઈજનેરોની ટીમ ક્રૂડ ઓઇલ મેળવી રહી છે. આ તરફ સ્થાનિક 3 ભાઇઓએ કેટલાક દિવસ અગાઉ 7 કૂવા બંધ કરી દીધા હતા. આ કૂવામાંથી રોજનું 1,180 લીટર ક્રૂડ ઓઇલ મેળવવામાં આવતું હતું. કૂવા બંધ થતાં ક્રૂડ આવતું બંધ થતાં અધિકારીઓ દોડતાં થઈ ગયા હતા. કૂવા પર તપાસ કરી તો બંધ કરી દીધાનું જાણી ચોંકી ગયા હતા. ત્રણેય ભાઇઓ સ્થાનિક હોવાથી ઓએનજીસીના કૂવા સામે કોઈ નારાજગી હતી કે કેમ ? તે સહિતના સવાલો ઉભા થયા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ઓએનજીસીના અધિકારી બજરંગીબલી મૌર્યે ગોવિંદવાડીના તિલકસિંહ શિવસિંહ ઝાલા, ગુમાનસિંહ શિવસિંહ ઝાલા, ગંભીરસિંહ શિવસિંહ ઝાલા સહિત ત્રણ ભાઈઓ સામે સાંથલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપીઓને કારણે 10 દિવસ સુધી 7 તેલના કુવા બંધ રહેતા ONGCને 1,18,000 લીટર ક્રૂડ મળ્યું નથી. જેનાથી ઓએનજીસીને રૂપિયા 23,60,000નુ નુકશાન થયું છે. ઘટનાને પગલે ઓએનજીસી સહિત ઈજનેરી આલમમાં ચકચાર મચી ગઇ છે.