બેદરકાર@થરા: બિસ્માર માર્ગો સાથે ગટરો ઉભરાઇ, દુર્ઘટનાની શક્યતા સામે બેફામ
અટલ સમાચાર,કાંકરેજ (રામજી રાયગોર)
કાંકરેજ તાલુકાનાં થરા પંથકમાં વરસાદને પગલે ભ્રષ્ટાચારના ખાડા ઉભરાઇ આવ્યા છે. નેશનલ હાઇવેની બેદરકારીને પગલે ગટરો ઉભરાતા માર્ગ પરથી પસાર થવું અત્યંત હાડમારીભર્યુ બન્યુ છે. વાહનચાલકો દૈનિક પરેશાન થતાં હોઇ કાળજી વચ્ચે પણ દુર્ઘટનાની લટકતી તલવાર બની છે. થરાના જૈનતીર્થ અને રૂની રોડ પર વરસાદી પાણી સાથે ગટરનું ગંદુ પાણી મિશ્ર થતાં દુર્ગંધ ચરમસીમાએ ગઇ છે. રૂની રોડની સામે હાઇવે ઉપર મોટા ખાડા પડ્યાં હોવાથી ગમેત્યારે અકસ્માત થવાની ભિતી બની છે.
બનાસકાંઠા જીલ્લાના થરા શહેરના માર્ગો એટલા બધા બિસ્માર બન્યા છે કે, સામાન્ય બેદરકારી વાહનચાલકને હોસ્પિટલ પહોંચાડી શકે છે. સામાન્ય વરસાદને પગલે જૈનતીર્થ જતો માર્ગ અને રૂની જતો રસ્તો જોખમભર્યો હોવાનું સામે આવ્યુ છે.
રાહદારી અને વાહનચાલકોને રસ્તાને કારણે ગંભીર અકસ્માત થવાની શક્યતા નકારી શકાતી નથી. આ સાથે નેશનલ હાઇવેની બેદરકારીને કારણે પુલ નજીક ગટરનું પાણી સીધુ માર્ગ ઉપર આવતા ભારે પરેશાની બની છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, નિયમિત ગટરોની સફાઇને અભાવે અવાર-નવાર ગંદુ પાણી શહેરના માર્ગ પર રેલાય છે. આ સાથે થરા બજારમાં વરસાદી પાણી દિયોદર નાળાથી માર્કેટ નાળા સુધી ભરાઇ જતાં હોય છે. વેપારીઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ અનેકવાર લેખીત રજુઆત કરવામાં આવી છે.
થરા નગરપાલિકા અને હાઇવે ઓથોરિટી વચ્ચે વહીવટી તાલમેલના અભાવે બિસ્માર રસ્તા અને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવાની નોબત સ્થાનિકોને આવી છે.