સાવચેતી@મહેસાણા: કોરોનાકાળે પાલોદરનો પ્રખ્યાત ચોસઠ જોગણી માતાજીનો લોકમેળો રદ્દ
અટલ સમાચાર ડોટ કોમ,મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)
ઉત્તર ગુજરાતમાં વધતાં કોરોના કહેર વચ્ચે હવે સાવચેતીના ભાગરૂપે પાલોદર જોગણીધામ ખાતે યોજાનાર લોકમેળાને રદ્દ કરવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતે જણાવ્યું છે કે, મેળામાં કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે માતાજીના દર્શન માટે મંદીર ખુલ્લુ રહેશે. આ સાથે મેળામાં તમામ પ્રકારની દુકાનો અને ચકડોળ તેમજ મનોરંજનના સાધનો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જ્યારે બે દિવસના માત્ર માતાજીના પરંપરાગત ધાર્મિક મહત્વ ધરાવતાં કાર્યક્રમો કરવામાં આવશે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જીલ્લાના પવિત્ર યાત્રાધામ પાલોદરમાં યોજાનાર લોકમેળો કોરોના વાયરસને કારણે 08/04/2021થી 09/04/2021ના રોજ યોજાનાર ચોસઠ જોગણી માતાજીની મેળો (જાતર) રદ્દ કરાયો છે. જ્યારે કોરોનાને મ્હાત આપવા સ્વયંભૂ આવનારા દર્શનાર્થીઓ માટે ભીડ ના કરવા, સ્વચ્છતા સહિતની સાવચેતી રાખવામા આવશે. જોકે બે દિવસ દરમ્યાન યોજાનારા ખેડૂત શુકન, માતાજીની સઘડી સહિતના ધાર્મિક કાર્યક્રમો યથાવત રહેશે. અને શ્રધ્ધાળુઓ માતાજીના દર્શન કરી શકે માટે મંદિર પણ ખુલ્લુ રહેશે. જોકે તમામ ભક્તોએ કોવિડ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
સુત્રોઓ જણાવ્યું હતું કે, લોકમેળામાં પ્રથમ દિવસે શુક્રવારે યજુર્વેદમાં જણાવ્યા પ્રમાણે ખેડૂત જીવનને સ્પર્શતા શુકન જોવામાં આવે છે. જેના આધારે સમગ્ર વર્ષ ખેડૂતો માટે કેવું રહેશે તેનો વરતારો નીકળતો હોય છે. તેમજ બીજા દિવસે શનિવારે કાળકા માતાજીની સળગતી સગડીઓ નીકળશે અને જ્યોત પરથી માનવ જીવન કેવું રહેશે તેમજ રાજકીય માહોલ કેવો રહેશે તેનો વરતારો કાઢવામાં આવે છે.