ચકચાર@ગાંધીનગર: મનપામાં ફરજ બજાવતી બે યુવતીઓએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરતા અરેરાટી
આવું પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાંધીનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સાથે ફરજ બજાવતી બે યુવતીઓએ નભોઈ કેનાલમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવતા ચકચાર મચી છે. આ સામુહિક આપઘાતની ઘટનાથી સમગ્ર સચિવાલય અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી આલમમાં અરેરાટી વ્યાપી ગઈ છે.મૃતક યુવતીઓની ઓળખ સેજલ જશવંતભાઈ પટેલ અને રિપલ રાકેશભાઈ રાવત તરીકે થઈ છે. આ બંને યુવતીઓ ગઈકાલે રાત્રે નભોઈ કેનાલ પર પહોંચી હતી. આત્મઘાતી પગલું ભરતા પહેલા બંનેએ પોતપોતાના પરિવારજનોને ફોન કરીને પોતે આપઘાત કરવા જઈ રહી હોવાનું જણાવ્યું હતું. અચાનક આવેલા આ ફોનથી ગભરાયેલા પરિવારો તાત્કાલિક કેનાલ પર પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા જ અડાલજ અને ગાંધીનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. રાત્રિના અંધકારમાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે કેનાલમાં શોધખોળ શરૂ કરી છે.
પાણીનો પ્રવાહ વધુ હોવાથી બંને યુવતીઓ તણાઈ ગઈ હતી. જેના કારણે કલાકોના સર્ચ ઓપરેશન બાદ છેક ઝુંડાલ કેનાલ પાસેથી તેમના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે બંને લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે.આ બંને યુવતીઓ જીએમસીમાં સાથે નોકરી કરતી હતી અને તેમની વચ્ચે ગાઢ મિત્રતા હતી. તેમણે આટલું આત્યંતિક પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ ચલાવાઇ રહી છે. યુવતીઓના આપઘાત પાછળના કારણો અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે. જેમાં કામનું ભારણ, પારિવારિક સમસ્યાઓ કે પછી બીજા કોઇ કારણથી આવું પગલું ભર્યું તે મામલે તપાસ ચલાવાઇ રહી છે. અડાલજ પોલીસે તપાસ શરૂ કરી છે.

