ચકચાર@પાટણ: લોકડાઉનમાં 118 ફરિયાદો, 512 વ્યક્તિ આરોપી બન્યા
અટલ સમાચાર, પાટણ
પોલીસ વિભાગ દ્વારા ડ્રોન અને સી.સી.ટી.વી. કેમેરા દ્વારા રખાઈ રહી છે નજર, દવા લેવાના ખોટા બહાને ઘર બહાર નિકળતાં લોકો સામે નોંધાશે ફરિયાદ
લોકડાઉનનો ભંગ કરનાર લોકો સામે જિલ્લા વહિવટી તંત્રએ લાલ આંખ કરી છે. વિવિધ કારણો દર્શાવી લોકડાઉનનો ભંગ કરનાર લોકો સામે ફરિયાદ દાખલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેને લોકો હળવાશથી લઈ રહ્યા છે. પરંતુ આ ગંભીર બાબત છે જેની સામે ફરિયાદ નોંધાઈ છે તેને ભવિષ્યમાં અનેક પ્રશ્નો સર્જાઈ શકે છે. જેમાં યુવાનોને સરકારી નોકરી મેળવવામાં મુશ્કેલી, નોકરીયાત સામે તપાસ અને વિદેશમાં રહેતા લોકોની પાસપોર્ટ જપ્તી સહિતની કાર્યવાહી થઈ શકે છે. સાથે જ રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને રાજકીય કારકિર્દીમાં પણ નુકશાન થઈ શકે છે.
પાટણ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કલમ-144ના જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ કલમ-188 મુજબ 118 ફરીયાદો દાખલ કરવામાં આવી છે. સાથે જ પોલીસ દ્વારા 512 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. ડ્રોન દ્વારાસર્વેલન્સ કરી 05 અને સી.સી.ટી.વી. સર્વેલન્સ દ્વારા 02 ગુના નોંધવામાં આવ્યા છે. સાથે જ પોલીસ દ્વારા જિલ્લાના 547 જેટલા બાઈક અને કાર ડિટેઈન કરવામાં આવ્યા છે. આર.ટી.ઓ. દ્વારા દંડ વસુલી લોકડાઉનનો સમયગાળો પૂર્ણ થયા બાદ જ વાહનમાલિકને તેનું વાહન પરત કરવામાં આવશે. વધુમાં દવા લેવાના બહાને બહાર નિકળતાં લોકોના પ્રિસ્ક્રિપ્શન ચેક કરી ડૉક્ટર સાથે વાત કર્યા બાદ જ મુક્તિ આપવામાં આવશે. પરંતુ જે કિસ્સામાં જુના પ્રિસ્ક્રિપ્શન કે ખોટા બહાને બહાર નિકળ્યાનું સાબિત થશે તે વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવશે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પોલીસ દ્વારાફોટોગ્રાફી અને વિડિયો સર્વેલન્સના પુરાવા સાથે ફરિયાદ નોંધાવાના કિસ્સામાં ગુનો સાબિત થતાં લોકડાઉનનો ભંગ કરનાર વ્યક્તિઓને ૬ માસ સુધીની કેદની સજા થઈ શકે છે. સાથે સાથે જે યુવાનો સરકારી નોકરીમાં જોડાવા માંગતા હોય તેમને તથા નવો પાસપોર્ટ ઈસ્યુ કરાવવા ઈચ્છુકતેમની સામે ફરિયાદ થાય તો એવા લોકોને પોલીસ દ્વારા એન.ઓ.સી. ન મળવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વિદેશમાં રહેતા અને હાલ વતન પરત ફરેલા લોકો જો લોકડાઉનનો ભંગ કરે તો ફરી વિદેશ ગયા બાદ કોર્ટ કેસમાં હાજરી આપવા વારંવાર સ્વદેશ આવવું પડે છે અને પાસપોર્ટ જપ્તી સુધીની કાર્યવાહી થઈ શકે છે. વધુમાં, સરકારી કર્મચારી દ્વારા લોકડાઉનનો ભંગ કરવાના કિસ્સામાં તેની સામે તપાસ થઈ શકે છે અને ગુનો સાબિત થતાં સજા થઈ શકે છે. રાજકીય ક્ષેત્રે કાર્યરત લોકોને તેમની રાજકીય કારકિર્દીમાં નુકશાન થઈ શકે છે.
નોવેલ કોરોના વાયરસ સંક્રમણને નિયંત્રણમાં રાખવા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે હાલ પણ કેટલાક લોકો વિવિધ કારણો દર્શાવી તેનો સરેઆમ ભંગ કરી રહ્યા છે. પાટણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લોકડાઉનનો ભંગ કરનાર આવી વ્યક્તિઓ વિરૂદ્ધ ગુના નોંધવામાં આવી રહ્યા છે. જેની સામે ગુનો દાખલ થયો છે તેવી વ્યક્તિઓને ભવિષ્યમાં અનેક કાયદાકીય પ્રશ્નોનો સામનો કરવો પડી શકે છે. માટે લોકડાઉનને હળવાશમાં ન લેતાં ચેતી જવાની જરૂર છે.