ચકચાર@પ્રાંતિજ: ચારેય મૃતકોની લાશ મળી, પંથકમાં છવાયો સન્નાટો
અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)
પ્રાંતિજના સાદોલીયા પાસે સાબરમતી નદીમાં રવિવારે સાંજે ગણેશ મહોત્સવને લઇ શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જ્યાં અચાનક ત્રણ યુવાન સાથે બચાવ કરવા ગયેલ આધેડ સહિત ચાર ડૂબી જતાં ચકચાર મચી ગઇ હતી. જેની લાશ શોધવા યુધ્ધના ધોરણે મથામણ કર્યા બાદ શોધી લેવાઇ છે. ઘટનાને પગલે પંથકમાં શોકનો સન્નાટો છવાઈ ગયો છે.
હિંમતનગરના ગઢોડા ગામેથી પ્રાંતિજના સદોલિયા નજીક સાબરમતી નદીમાં મૂર્તિ વિસર્જન માટે આવ્યા હતાં જે દરમ્યાન ત્રણ યુવાન પાણીમાં ડુબતા એક આધેડ બચાવવા જતાં તે પણ સાથે ડુબી ગયા હતા. ઘટનાની જાણ થતાં પ્રાંતિજ ફાયર, પોલીસ તેમજ 108 સહિતની ટીમ તાત્કાલિક દોડી આવી હતી. તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે નદીમાં શોધખોળ હાથ ધરાઇ હતી. કલાકોની જહેમત બાદ પણ કોઇ લાશ મળી ન હતી.
જોકે સોમવારે પણ શોધખોળ ચાલુ રાખતાં મૃતકોની લાશ મળી આવી હતી. જેમા (1) ગાંડાભાઈ રાવળ જંત્રાલ ઉંમર- 55 (2) સંજયભાઈ બાબુભાઇ પટેલ, ગોધરા ઉંમર 17 (3) સૂરજ પ્રકાશભાઈ પટેલ, ગડોળા ઉંમર 15 (4) અજય ઈશ્વરભાઈ રાવળ, ચરાડા ઉંમર 22
બધા રહેવાસી ગઢોડામાં ખેતીકામ કરતા હતા. જેમાં સૂરજ અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સાબરકાંઠા જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.