ચકચાર@ઝાલોદ: ખેતીવાડી માર્કેટયાર્ડમાં એક એક વ્યક્તિએ થોકબંધ પ્લોટ લીધા, કાર્યવાહી ક્યારે થશે રજીસ્ટાર

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ઝાલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પ્લોટ ફાળવણી સહિતના અનેક મુદ્દે રજૂઆત બાદ તપાસ રીપોર્ટ બંધ કવરમાં તૈયાર થઈ ગયો છે પરંતુ ફરિયાદ કરનાર તત્કાલીન વાઇસ ચેરમેન વિજયભાઈએ ચોંકાવનારી વિગતો આપી છે. જેમાં એક એક વ્યક્તિએ અનેક પ્લોટ મેળવી લીધા છે ત્યારે સહકારી કાયદાની જોગવાઇથી વિરુદ્ધ છે. એવા પણ કેટલાક કિસ્સા છે કે, જેમાં રાશનકાર્ડમાં જેટલા નામ તેટલાંના નામે પ્લોટ મેળવી લેવાયા છે. આટલુ જ નહિ, અમુક વ્યક્તિએ તો રાશનકાર્ડમાં 5 નામ હોય તો 10થી પણ વધુ પ્લોટ મેળવ્યા હોવાનો દાવો વિજયભાઈએ કોળીએ કરતાં ચકચાર મચી જવા પામી છે. આ તરફ હવે સૌથી મોટી નજર રજીસ્ટાર સમક્ષ થાય કે, તપાસ રિપોર્ટ પારદર્શક છે? જો હોય તો કાર્યવાહી ક્યારે થશે અથવા કાર્યવાહી માટેની આગળની પ્રક્રિયા ક્યારે થશે? વાંચો ઝાલોદ ગંજબજારના વહીવટીનો સ્પેશ્યલ રિપોર્ટ
દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી લોકોમાં સરકારના હિતમાં જાગૃતિ વધી રહી છે. નકલી કચેરી, નકલી એન.એ પછી મનરેગા કૌભાંડના સમાચારોનો મારો ચાલુ છે ત્યારે ઝાલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વહીવટ સામે ચોંકાવનારી ફરિયાદ ઉઠી હતી. રજૂઆત કરનાર બીજું કોઈ નહિ પરંતુ તત્કાલીન વાઇસ ચેરમેન વિજયભાઈ કોળીએ ઝાલોદ એપીએમસીના ચેરમેન સહિત કર્મચારીઓ ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે. આ ચેરમેન પણ ઝાલોદના ભાજપા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા છે ત્યારે મામલો રાજકીય બન્યો છે. તત્કાલીન વાઇસ ચેરમેન અને હાલ માર્કેટયાર્ડના સભ્ય વિજયભાઈએ કોળીએ વિગતો આપતાં જણાવ્યું કે, ગંજબજાર સાથે સંકળાયેલા અનેક વ્યક્તિએ એક નહિ પરંતુ અનેક પ્લોટ મેળવી લીધા છે. એવા અનેક વ્યક્તિઓ છે જેમણે પોતાના ઘરના વ્યક્તિઓના નામે 10થી 15 પ્લોટ મેળવી સહકારી કાયદાની ઐસીતૈસી કરી છે. વાંચો નીચેના ફકરામાં.
સમગ્ર મામલે તપાસ રીપોર્ટ બની ગયો હોઈ રજૂઆત કરનાર વિજયભાઈએ કોળીએ અહેવાલની નકલો મેળવવા દોડધામ શરૂ કરી છે. તપાસ બરાબર થઈ છે કે કેમ, તે જાણવા રીપોર્ટની નકલો માંગી છે ત્યારે રજીસ્ટાર કચેરીને પણ પારદર્શક કાર્યવાહી કરવાની દોડધામ કરવી પડશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, તપાસ રીપોર્ટ રજીસ્ટાર સમક્ષ રજૂ થઈ ગયો પરંતુ કોઈ કારણસર રજીસ્ટ્રારે રીપોર્ટનો અભ્યાસ નહિ કર્યો હોઈ વિલંબ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં વિજયભાઈ કોળીએ માંગ કરી છે કે, તાત્કાલિક અસરથી રીપોર્ટ આધારે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને સહકારી કાયદાની જોગવાઈઓનું પાલન થાય તે સારૂં યોગ્ય નિર્ણય કરવામાં આવે.