પડકાર: જો ગુજરાતમાંથી દારૂ ન મળ્યો તો હું રાજનીતિ છોડી દઇશ: અશોક ગહલોત
અટલ સમાચાર, ડેસ્ક
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિશાના પર વળતો હુમલો કરતાં પોતે પડકાર આપ્યો છે. ગહલોતે કહ્યુ કે, જો ગુજરાતમાં દારૂ નહીં મળે તો તેઓ રાજનીતિ છોડી દેશે અને જો દારૂ મળી જશે તો રૂપાણીએ રાજનીતિ છોડી દેવી જોઈએ. મહત્વનું છે કે, છેલ્લા 3 દિવસોથી દારૂબંધીના મુદ્દે ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રી આમને-સામને આવી ગયા છે. બંને એકબીજા સામે આક્ષેપબાજી કરી રહ્યા છે.
5 ઑક્ટોબરે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે જયપુરમાં સવાઈ માનસિંહ હૉસ્પિટલના કાર્યક્રમમાં કહ્યુ હતું કે, દારૂબંધીથી કોઈ ફાયદો નથી થતો. ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ઘરે-ઘરે દારૂ પીવાય છે. ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જવાબ આપતાં કહ્યુ હતું કે, ગહલોત આવું નિવેદન આપીને સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છે, તેમને માફી માંગવી જોઈએ.
જોધપુરમાં અશોક ગહલોતે વિજય રૂપાણીની વાતોનો જવાબ આપી રહ્યા હતા. ગહલોતે વળતો હુમલો કરતાં કહ્યુ કે, રૂપાણી પુરવાર કરી દે કે ગુજરાતમાં દારૂ સરળતાથી નથી મળતો તો હું રાજનીતિ છોડી દઈશ અને જો ત્યાં દારૂ સરળતાથી મળવાની વાત પુરવાર થઈ તો રૂપાણી પણ રાજકારણ છોડી દે. ગહલોતે કહ્યુ કે, ગુજરાતમાં આઝાદી બાદથી દારૂબંધી છે પરંતુ કોઈને પણ પૂછી લો ત્યાં સરળતાથી દારૂ મળી જાય છે, આ વાત ગુજરાતના લોકો જાણે છે, તે વ્યક્તિ દારૂ પીતી હોય કે ન પીતી હોય.