24 જવાનોને શહીદ કરનાર માઓવાદીઓનો ભારતમાં આ વિસ્તારમાં છે ગઢ, દેશ માટે ખતરા સમાન

નવી દિલ્હી ઃ
છત્તીસગઢના બીજાપુર અને સુકમાં જિલ્લામાં બોર્ડર પર નક્સલીઓ સાથે થયેલી અથડાણમાં 24 જવાન શહીદ થયા છે. બીજાપુર નક્સલી અથડામણમાં અત્યારસુધી 24 જવાન શહીદ થયા છે. છત્તીસગઢના બીજાપુર અને સુકમાં જિલ્લામાં બોર્ડર પર થયેલી ઘટનાને 400થી વધારે નક્સલીઓએ અંજામ આપ્યો હતો. જોકે, આ દરમિયાન જવાનોએ નક્સલીઓને પાછળ ધકેલતા ખૂબ સારી લડત લડી હતી. આ અથડામણમાં ઘાયલ થયેલા 13 જવાનની પાટનગર રાયપુર (Raipur) ખાતે સારવાર ચાલી રહી છે. જે જવાનોને ગોળી વાગી છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આગામી દિવસોમાં જો આવી અથડામણ થશે તો તેઓ ફરીથી નક્સલીઓ સામે લડવા માટે તૈયાર છે. તેઓ બિલકુલ પાછા નહીં હટે.
ભારતના જે ભાગમાં નક્સલી માઓવાદી ઉગ્રવાદીઓ ફેલાયેલા છે તેને રેડ કોરિડોર કહેવાય છે. જેમાં મધ્ય ભારત, પૂર્વી ભારત અને દક્ષિણ ભારતના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે. દેશના લગભગ 100 જિલ્લાઓ રેડ કોરિડોરથી ઘેરાયેલા છે. બંદૂક દેખાડીને સમાનતાની માંગ કરતા આ વિસ્તારોમાં સાક્ષરતા, વિકાસ અને સ્વાસ્થ્ય સુવિધાઓ નહિવત છે. ગૃહ મંત્રાલયના આંકડા અનુસાર આ 10 રાજ્યોમાં 2016માં જ 1049 હિંસક ઘટનાઓ થઇ છે. જેને લેફ્ટ વિંગનો અતિવાદ કહેવાય છે. દેશમાં માઓવાદી કમ્યુનિસ્ટ પાર્ટી, નક્સલી સંગઠનોને ગેર કાનૂની એક્ટિવિટીઝ પ્રિવેન્ટેશન એક્ટ અંતર્ગત આતંકવાદી જાહેર કરાયા છે. અહીં અમે તમને નક્સલીઓથી પ્રભાવિત 10 રાજ્યો અને તેમના જિલ્લાઓ અંગે જણાવીશું. PIBના રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી 2019 સુધી દેશના 11 રાજ્યોમાં 90 જિલ્લા, ડિસેમ્બર 2017માં 9 રાજ્યોમાં 105 અને 2016માં 10 રાજ્યોમાં 106 જિલ્લામાં માઓવાદ ફેલાયેલો હતો. જોકે, લોકસભામાં ગૃહમંત્રાલયે 2017માં એક સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, 10 રાજ્યોના 106 રેડ કોરિડોર જિલ્લાઓમાંથી 35 જિલ્લા ખરાબ રીતે પ્રભાવિત છે. જેમાં છત્તીસગઢનો સુકમા જિલ્લો પણ છે, જ્યાં તાજેતરમાં નક્સલી હિંસા થઇ છે.
રેડ કોરિડોરના 10 સૌથી પ્રભાવિત રાજ્યોમાં આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, તેલંગાણા, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. જ્યાં ક્રમશ: 22, 21, 19 અને 16 જિલ્લા માઓવાદથી અસરકારક છે.PIBના એક રિપોર્ટ મુજબ, 2009માં 180 જિલ્લામાં રેડ કોરિડોર ફેલાયેલો હતો. તે ઘટીને હવે અડધો થયો છે. છતાં ઝારખંડમાં 16, છત્તીસગઢના 8 અને બિહારના 6 સહિત કુલ 35 જિલ્લાઓમાં નક્સલવાદ હજી પણ તબાહી મચાવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢના બીજાપુર, સુકમા, દંતેવાડા, કાંકેર, નારાયણપુર, રાજનંદગાંવ, બસ્ટર અને કોંડાગાંવ જિલ્લા ખૂબ સંવેદનશીલ છે.
અમિત શાહે કહ્યું- આ લડતને અંત સુધી લઈ જઈશું ,જવાનોનું બલિદાન ભૂલાશે નહીં
બીજાપુરમાં થયેલા નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના જગદલપુર પહોંચ્યા. અહીં સીએમ ભૂપેશ બઘેલે પણ તેમની સાથે શહીદોના પાર્થિવ શરીર પર પુષ્પચક્ર અર્પણ કર્યા. જવાનોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ મૃતદેહોને તેમના વતને રવાના કરાયા. ગૃહમંત્રીએ ટ્વીટ કરીને પણ કહ્યું કે છત્તીસગઢમાં નક્સલીઓનો સામનો કરતી વખતે શહીદ થયેલા બહાદુર સુરક્ષાકર્મીઓને જગદલપુરમાં શ્રદ્ધાંજલિ આપી. દેશ તમારા બલિદાનને ક્યારેય ભૂલી શકશે નહીં. સમગ્ર દેશ શોકાતુર પરિવારોને પડખે છે. અશાંતિ વિરુદ્ધની આ લડતને અમે અંતિમ સ્વરૂપ આપવા માટે સંકલ્પિત છીએ. ત્યારબાદ ગૃહમંત્રીએ જગદલપુરના વોર રૂમમાં પોલીસ અને અર્ધસૈન્ય દળોના ઓફિસરો સાથે બેઠક કરી. સૂત્રના જણાવ્યાં મુજબ હવે નક્સલીઓને સીધા તેમના વિસ્તારમાં ઘૂસીને મારવાની રણનીતિ બનાવવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે હું વિશ્વાસ અપાવું છું કે આ ઘટના બાદ લડતને વધુ તીવ્ર કરીશું અને નિશ્ચિતપણે વિજયમાં ફેરવીશું. જે જવાનો શહીદ થયા છે તેમના પરિજનોને હું કહેવા માંગુ છું કે તમારા ભાઈ, પતિ, પુત્રએ દેશ માટે જે બલિદાન આપ્યું છે, તેને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. સંકટની આ ઘડીમાં સમગ્ર દેશ તેમની સાથે છે. પરિજનોનું બલિદાન એળે જશે નહીં. હું શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપું છું. તેમનું સર્વોચ્ચ બલિદાન વ્યર્થ નહીં જાય. આ દેશને વિશ્વાસ અપાવું છું.