તમાચો@હાર્દિકઃ ઈસમ ભાજપનો સમર્થક, 5 લાખમાં સોદાનો આક્ષેપ
અટલ સમાચાર, મહેસાણા
વઢવાણ નજીક બલદાણામાં હાર્દિક પટેલને લાફો મારનાર ઈસમ પાટીદાર નથી. 14 પાટીદારોના મોત મામલે આક્રોશ વ્યક્ત કરી લાફો ઝીંકનાર ઈસમ ભાજપનો સમર્થક હોવાનું સામે આવ્યું છે. કડી નજીકનો તરુણ ગજ્જર અવાર-નવાર મહેસાણા સાંસદ જયશ્રીબેન અને કડી ગંજના ચેરમેન સાથે મળતો હતો. જેના ફોટા વાયરલ થતા ભાજપ ઉપર શંકાની સોય ઊભી થઈ છે. જ્યારે બીજી તરફ ભાજપના જ કોઈ આગેવાને 5 લાખમાં લાફો મારવાનો સોદો કર્યો હોવાના આક્ષેપ થયા છે.
પાટીદાર નેતા હાર્દિક પટેલને લાફો ઝીંકનાર તરુણ ગજ્જર કડી તાલુકાના જાસલપુર ગામનો છે. આ સાથે તમાચો મારનાર યુવક ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અંગત એવા કડી ગંજબજારના ચેરમેન વિનોદ પટેલના નજીક માણસ છે. તરુણ ગજ્જરના મહેસાણા સાંસદ જયશ્રી પટેલ સાથેના ફોટા વાયરલ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં પાટીદાર અનામત આંદોલનના કાર્યકર્તાઓ ભાજપ સામે વધુ આક્રોશીત બન્યા છે.
આ અંગે ઉત્તર ગુજરાત પાસ કન્વીનર સુરેશ ઠાકરે જણાવ્યું હતું કે, ગુજરાત ભાજપમાં ધીમે ધીમે જીતુ વાઘાણીનું કદ વધતું હોવાથી નીતિન પટેલે એક કાંકરે ત્રણ પક્ષી મારવાનો ખેલ પાડ્યો છે. જેમાં પાટીદારો અને ઓબીસીના મતોનું વિભાજન કરી લોકસભા ચુંટણીમાં ગુજરાતમાં ભાજપની ઓછી બેઠકો આવે તેવો પ્લાન છે. જેથી તેના માછલા ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી ઉપર ઢોળી નીતિન પટેલ પોતાનું કદ વધારવા મથી રહ્યા છે.
પાસ આગેવાનોએ સમગ્ર ઘટના અંગે આક્ષેપ કર્યા છે કે લાફો ઝીંકનાર ઈસમને 5 લાખ આપી લોકસભા ચુંટણી પહેલા રાજકીય દાવ ખેલવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે.
આ તરફ ભાજપે પત્રકાર પરિષદ યોજી સમગ્ર બાબતે પોતાની કોઈ જ ભૂમિકા ન હોવાનું સ્પષ્ટ કરી તપાસની માંગ કરી છે.