ખળભળાટ@પાટણ: પરિવારની ગેરહાજરીમાં પ્રોફેસરની આત્મહત્યા, કારણ અકબંધ
અટલ સમાચાર, પાટણ
પાટણ નજીક કતપુર કોલેજના પ્રોફેસરે સોમવારે અચાનક ગળેફાંસો ખાઇ લીધાનું સામે આવતાં ચકચાર મચી ગઇ છે. પરિવારની લાંબાગાળાની ગેરહાજરી વચ્ચે પોતાના ઘરમાં જ જીવન ટુંકાવી દેતા ખળભળાટ મચી ગયો છે. સરકારી એન્જીનિયરિંગ કોલેજના પ્રોફેસર પરિવારથી દૂર નોકરી કરતા હોઇ આત્મહત્યાના કારણને લઇ અનેક તર્કવિતર્ક ઉભા થયા છે. ઘટનાને પગલે પાટણ તાલુકા પોલીસ સ્ટેશન દ્રારા આત્મહત્યાનું કારણ તપાસમાં લેવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ તાલુકાના કતપુર ગામે આવેલી સરકારી એન્જીનિયરિંગ કોલેજના અંગ્રેજી વિભાગમાં પ્રોફેસર નયન પટેલ રહ્યા નથી. સોમવારે અચાનક કોઇ કારણસર માનસિક આવેગની વચ્ચે ઘરમાં જ ગળેફાંસો ખાઇ લેતાં ચકચાર મચી છે. સરેરાશ 40થી 45 વર્ષની ઉંમર ધરાવતા અને પરિવારથી દૂર એકલા રહી સરકારી નોકરી કરતા હતા. આ દરમ્યાન ફરજના સમયગાળા વચ્ચે આત્મહત્યા કરી લેતા કોલેજ અને પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, આત્મહત્યાની ઘટનાને પગલે પાટણ તાલુકા પોલીસ દ્રારા તપાસ શરૂ કરવામાં આવી છે. આત્મહત્યા બાદ હજી સુધી તેના ચોક્કસ કારણો સામે આવ્યા નથી. જોકે પરિવારથી દૂર રહેતા હોઇ સામાજીક તણાવ અથવા અન્ય કોઇ બાબતે માનસિક રીતે પરેશાની અનુભવતા હોઇ પ્રોફેસર નયન પટેલે આત્મહત્યા કરી હોવાના સામાન્ય કારણો ચર્ચામાં આવ્યા છે. ઘટનાને પગલે વિદ્યાર્થી અને પ્રોફેસર આલમ માટે દુ:ખદ ઘડી આવી હોવાનું સામે આવ્યુ છે.