કોરોના@દેશઃ ગત 24 કલાકમાં 96,424 કેસ, 1,174ના મોત, કુલ 52.14 લાખ દર્દી
અટલ સમાચાર, ડેસ્ક
ભારતમાં કોવિડ-19નું સંકટ વધુ વિકરાળ બનતું હોય તેવું લાગી રહ્યું છે. રોજ સવારે જાહેર થતાં રાષ્ટ્રીય આંકડાઓથી તે સાબિત થાય છે કે કોરોના સામેની લડત ભારતમાં હજુ ઘણી લાંબી ચાલી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 96,424 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસના કારણે 1,174 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 52,14,678 થઈ ગઈ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
નોંધનીય છે કે, દેશમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 41 લાખ 12 હજાર 552 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 10,17,754 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 84,372 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 17 સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કુલ 6,15,72,343 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરૂવારે 24 કલાકમાં 10,06,615 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં કોરોના વાયરસનાના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1379 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1652 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે 14 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3273 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 280 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 119088 છે. જેમાંથી એક્ટિવ કેસ 16,007 છે. આજે રાજ્યમાં કુલ 85,620 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજો થવાનો દર 83.81 ટકા છે.