કોરોનાઃ જુદા જુદા રાજ્યના શ્રમિકોને રાજસ્થાન પોલીસ અરવલ્લીમાં મુકી રવાના
અટલ સમાચાર, અરવલ્લી
કોરોનાના કેર વચ્ચે દેશનાં તમામ રાજ્યમાં લૉકડાઉન કરવામાં આવ્યું છે. બધા રાજ્યની બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. ત્યારે શ્રમિકોની હાલત કફોડી બની છે. રાજ્યમાંથી રાજસ્થાનનાં ઉદેપુર સુધી પગપાળા જતા લોકોને રાજસ્થાન પોલીસ બોર્ડર પર પરત મુકી ગઇ છે. બે સરકારો વચ્ચે હાલ તો હજારો લોકો અટવાયા છે. આ અંગે ગાંધીનગર આઇજી અને રાજસ્થાનના અધિકારીઓ વચ્ચે મંત્રણા પણ થઇ હતી જે બાદ પણ કોઇ સમાધાન આવ્યું ન હતું. કેન્દ્ર સરકારની ગાઇડલાઇનનું કડકાઇપૂર્વક પાલન કરવા માટેનાં આદેશ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
લૉકડાઉનની સ્થિતિ વચ્ચે રાજસ્થાન બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. તેવી સ્થિતિમાં રતનપુર બોર્ડર પર ભારે હંગામો જોવા મળી રહ્યો છે. એકાએક આટલા માણસો પરત કરી દેવાતા લોકો સાથે પોલીસ પણ અસમંજસમાં મુકાઇ છે. આ લોકોમાં મોટેભાગે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના લોકો અટવાયા છે. જેથી તેમને પણ ખબર નથી પડતી કે તેઓ હવે ક્યાં જશે અને શું ખાશે.
સુત્રો એ જણાવ્યુ હતુ કે, શ્રમિક વર્ગ પોત પોતાના વતન જવા માટે ચાલતા નીકળી પડ્યા હતા. આમાંથી ઘણાં લોકો રાજસ્થાનમાંથી આવ્યાં હતાં જેથી તેઓએ પોતાના વતનની વાટ પકડી હતી. પરંતુ આ લોકોને રાજસ્થાન પોલીસ પરત ગુજરાત બોર્ડર પર મુકી જતા ભારે વિવાદ સર્જાયો છે. આ બોર્ડર પર હાલ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના લોકો અટવાયા છે. જોકે, આ સંવેદનશીલ મામલામાં આખરે ગુજરાત સરકારે આ લોકોને અરવલ્લીમાં રાખવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી પ્રમાણે આ લોકોને અરવલ્લીનાં જ શેલ્ટર હાઉસમાં જ રાખવામાં આવશે.