ભ્રષ્ટાચાર@અમદાવાદ: સ્ટોર્મ વોટર લાઇન નાખવાના પ્રોજેક્ટમાં કરોડોનું મહા કૌભાંડ સામે આવતાં ભારે ખળભળાટ

 
કૌભાંડ
કૌભાંડીઓને જેલના સળિયા પાછળ ધકેલવાની તૈયારીઓ શરૂ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વરસાદી પાણીના નિકાલ માટેની સ્ટોર્મ વોટર લાઇન નાખવાના પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનું આચરાયેલું મહા કૌભાંડ સપાટી પર આવતાં ભારે ખળભળાટ મચ્યો છે. ચારેકોરથી ઘેરાયેલા શાસક પક્ષે આખરે મોડે મોડે પણ એક્શન મૂડમાં આવીને કૌભાંડી અધિકારીઓ સામે કાયદાકીય કોરડો વીંઝવા આદેશો જારી કર્યા છે.

મનપાની સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં ભાજપના ચેરમેન કમલેશ પટેલે વહીવટી તંત્રને અત્યંત આકરા શબ્દોમાં સૂચના આપી છે. તેમણે જણાવ્યું કે, 'આ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ જવાબદાર અધિકારીઓ સામે કોઈપણ પ્રકારની શેહશરમ કે પક્ષપાત રાખ્યા વિના તાત્કાલિક ધોરણે  FIR દાખલ કરવામાં આવે.' સામાન્ય નાગરિકો જો સમયસર ટેક્સ ન ભરે તો તેની પાસેથી વ્યાજ સાથે કડક વસૂલાત કરતું તંત્ર પોતાના કૌભાંડી અધિકારીઓ પાસેથી રિકવરી કરવામાં હપ્તા પદ્ધતિ અપનાવી રહ્યું હોવાથી લોકોમાં રોષ છે, જેના લીધે હવે તંત્રએ કડક વલણ અખત્યાર કરવું પડ્યું છે.

તંત્ર દ્વારા આ ચકચારી કૌભાંડમાં કરવામાં આવેલી પ્રાથમિક તપાસ અને અત્યાર સુધીની કાર્યવાહીના ભાગરૂપે કૌભાંડી અધિકારીઓ પાસેથી રૂપિયા 1.60 કરોડની માતબર રકમ પાછી વસૂલ  કરી લેવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી માત્ર આટલી રકમ વસૂલ કરીને મામલો દબાવી દેવા માંગતી નથી. કમિટી દ્વારા કસૂરવાર અને ભ્રષ્ટ અધિકારીઓની આવક કરતાં વધુ મિલકત અંગે પણ તપાસ કરવાના આદેશો આપી દેવાયા છે. આ સમગ્ર કૌભાંડ અને સંપત્તિની તપાસ પ્રક્રિયા પૂર્ણ કરીને આગામી ત્રણ મહિનાની અંદર જ તેનો વિસ્તૃત અહેવાલ કમિટી સમક્ષ રજૂ કરવા માટે વહીવટી પાંખને તાકીદ કરાઈ છે.ભવિષ્યમાં મનપાનો અન્ય કોઈ પણ અધિકારી કે કર્મચારી પ્રજાના ટેક્સના નાણાંમાં આવો મોટો ભ્રષ્ટાચાર કરવાનું સાહસ ન કરે તે માટે કૌભાંડીઓને જેલના સળિયા પાછળ ધકેલવા માટેની વહીવટી સ્તરે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આપવામાં આવેલા આદેશોનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.