દેશ: કોરોનાના હાહાકાર વચ્ચે આગાહી, ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે
અટલ સમાચાર, ડેસ્ક
મંદી અને કોરોનાથી ત્રસ્ત દેશવાસીઓ માટે એક શુકનવંતા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય હવામાન વિભાગે ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે વર્ષ 2020માં ચોમાસામાં સરેરાશ 100 ટકા વરસાદ થશે. મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના સેક્રટરી માધવન રાજીવને જણાવ્યું કે, આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેશે. માત્રાત્મક રીતે 2020 દરમિયાન ચોમાસામાં વરસાદ તેની લાંબી અવધિની સરેરાશના 100 ટકા રહેવાની અપેક્ષા છે, જેમાં મોડેલ ભૂલને કારણે 5 ટકા વધ-ઘટ રહી શકે છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
દેશના અલગ-અલગ ભાગોમાં ચોમાસું અલગ-અલગ સમયે આવે છે અને પાછું જાય છે. જોકે, સામાન્ય રીતે દર વર્ષે કેરળના દરિયાકાંઠે ચોમાસું 1 જૂન સુધીમાં પહોંચી જતું હોય છે. એવામાં હવામાન વિભાગની આગાહી મુજબ, આ વર્ષે પણ કેરળના દરિયા કિનારે 1 જૂને ચોમાસાનું આગમન થઈ જશે. જ્યારે કે મુંબઇમાં 11 જૂને ચોમાસાનીં એન્ટ્રી થઇ શકે.
હવામાન વિભાગનું કહેવું છે કે. હાલમાં ન્યૂટ્રલ અલ-નીનો સ્થિતિ બનેલી છે. જે આગળ પણ ચાલુ રહેવાની સંભાવના છે. જોકે, ચોમાસાના અંતિમ તબક્કામાં લા-નીનાની સ્થિતિ સર્જાવાની સંભાવના છે. આઇએમડીએ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની સીઝન માટે લાંબા ગાળાના પૂર્વાનુમાન જાહેર કર્યું છે. લાંબાગાળાના પૂર્વાનુમાનમાં સમગ્ર દેશ માટે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ચોમાસાની ઋતુની આગાહી કરવામાં આવે છે.
આઇએમડી દ્વારા પ્રથમ તબક્કાની આગાહી એપ્રિલ મહિનામાં અને બીજી એક જૂનમાં જાહારે કરવામાં આવે છે. હાલ વધી રહેલા તાપમાનને જોતા ખેડૂતોમાં ચોમાસાની ચિંતા વધી હતી, ત્યારે હવે આ પૂર્વાનુમાનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જો સ્થિતિ સામાન્ય રહી તો દેશમાં સારો પાક આવતા લોકડાઉન બાદ કોઈ વસ્તુની તંગી નહિં રહે અને જનજીવન સામાન્ય થવામાં મદદ થશે.