ગુનો@હળવદ: માળિયાના શખ્સોએ 45 ગાયો ગુમ કરીને તેની હત્યા કરી હોવાનો પર્દાફાશ
નજીવા પૈસે ચારાવવા લઈ બાદમાં આ ગાયોની રણ વિસ્તારમાં કતલ કરી નાંખતા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
છોટાકાશી હળવદ પંથકની ગૌમાતાની કત્લેઆમ થઈ હોવાનો ખુલાસો થયો છે. માળિયા પંથકમાંથી 13 ગાયોને ગુમ કરી તેની કતલ કરનાર પિતા-પુત્રએ હળવદ પંથકમાંથી પણ 45 ગાયો ગુમ કરીને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે હજુ પણ અનેક સ્થળોએથી આ પિતા- પુત્રએ ગાયોને ગુમ કરી હત્યા કર્યાનું ખુલે તેવી શકયતા છે.
માળિયા મીયાણાના ખાખરેચી ગામે રહેતા માલધારીઓએ ચીખલી ગામે રહેતા પિતા-પુત્રને તેની 50 ગાયોને ચરાવવા માટે આપી હતી. જે પૈકીની 14 જેટલી ગાય પરત ન આપતા તેઓએ ફરિયાદ નોંધાવી હતી. માળિયા તાલુકા પોલીસે મુસ્તાક આમીનભાઈ લધાણી અને આમીન કરીમભાઈ લધાણી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. બાદમાં અન્ય ચાર શખ્સોના નામ પણ ખુલતા તેમની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. બનાવને પગલે સમગ્ર જિલ્લામાં માલધારીઓ તેમજ હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવી આવી તો 150થી વધુ ગાયોની હત્યા થઈ હોવાનું જણાવ્યું હતું. હવે આ વાત સાચી ઠરી રહી છે. કારણ કે આરોપી પિતા-પુત્ર વિરૂદ્ધ શુક્રવારે રાત્રીના હળવદ પોલીસ સ્ટેશન ખાતે પણ ફરિયાદ નોંધાઈ છે.
મેહુલભાઈ અરજણભાઈ ગોલતર રહે. નવા અમરાપર નામના ફરિયાદીએ જણાવ્યું છે કે ચીખલીના પિતા-પુત્ર એવા મુસ્તાક અમીન લધાણી અને અમીન કરીમ લધાણીએ સાતેક મહિના પહેલા તેમની 25 ગાયો તથા જીવણભાઈ ખેતાભાઈની 20 ગાયો ચરાવવા લીધી હતી. આમ કુલ 45 ગાયો તેઓ લઈ ગયા હતા. જે ગાયો તેઓએ પરત આપી ન હતી અને કુરુરતાપૂર્વક કાપી કે કપાવી નાંખી છે. આ ફરિયાદને આધારે હળવદ પોલીસે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આમ આ પિતા-પુત્રની જોડીએ હળવદ પંથકમાંથી પણ ગાયો લઈ તેની કતલ કર્યાનું સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પિતા-પુત્ર દૂધ ન આપતી હોય તેવી ગાયો નજીવા પૈસા લઈને ચારાવવા માટે લેતા હતા.બાદમાં આ ગાયોની રણ વિસ્તારમાં કતલ કરી નાંખતા. ગૌમાતાની કતલ કરી માસની તસ્કરીનું આ કૌભાંડ મોરબી જિલ્લા ઉપરાંત સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ ફેલાયેલું હોય મોટીસંખ્યામાં ગૌમાતાની કતલ થઈ હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.