સંકટ@સુઇગામ: તીડની ભયાનકતા, 7 ગામોની ખેતીમાં બુલડોઝર જેવું
અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)
બનાસકાંઠાના સુઇગામ પંથકમાં તીડના તાંડવથી ઉભી થયેલી ભયાનકતા અને તેના પરિણામો ચોંકાવનારા છે. કરોડોની સંખ્યામાં ત્રાટકતા તીડ ઉભા પાક ઉપર બુલડોઝર સમાન બન્યા છે. હવામાનથી સાચવીને ઉભો કરેલો કૃષિપાક ગણતરીના કલાકોમાં નષ્ટ થતો હોવાનુ સામે આવ્યુ છે. તાલુકાના 7 ગામોનું ખેત ઉત્પાદન સંકટની ઘડી વચ્ચેથી પસાર થતુ હોઇ ખેડુતોના જીવ તાળવે ચોંટ્યા છે. તંત્રની મથામણ વચ્ચે પાક પરિસ્થિતિ ચિંતાજનક હોવાનુ મનાય છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના સુઇગામ તાલુકાના ગામોમાં તીડના ઝુંડે રીતસરનું આક્રમણ કર્યુ છે. બેણપ, દુઘવા, ઉચોસણ, સેડવ, રડકા, કુંભારખા અને સુઇગામ સહિતના વિસ્તારોમાં તીડે કૃષિપાકોને મોટુ નુકશાન કર્યુ છે. ખેતરમાં ઉભા છોડ અને તેની ઉપરના મોલની સરખામણીએ અનેકગણી વધુ સંખ્યામાં તીડનો હુમલો ભયાનકતાનો ચિતાર દર્શાવી રહ્યો છે. પાક રક્ષણ માટે ખેડુતોને દિવસ-રાત ખેતરમાં પસાર કરવાની નોબત બની છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, ખેડુતો ડબલા, થાળી-વેલણ સહિતના અવાજ કરીને તીડને ભગાડવાના પ્રયત્ન કરી રહ્યા છે. સુઇગામ પંથકના અસરગ્રસ્ત વિસ્તારોમાં જીલ્લાતંત્રની મથામણમાં તેના પરિણામો અરસકારક રીતે સામે નહિ આવતા હોવાના આક્ષેપ સ્થાનિક ખેડુતો લગાવી રહ્યા છે. લાખોની સંખ્યામાં આવતુ તીડનુ ઝુંડ જો 30 મિનિટ સતત ઉભાપાક ઉપર બેસે તો બે એકર જેટલા પાકને મોટાપાયે નુકશાન કરી દે છે. આવી સ્થિતિમાં ખેતરમાં ઉભાપાકની હાલત અત્યંત નાજૂક પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી છે.