દાંતા: ભાદરવી કુંભમેળામાં જલિયાણ કેમ્પનો પ્રારંભ, ૧૩વર્ષથી યોજાતો સેવા કેમ્પ
અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)
યાત્રાધામ અંબાજી ખાતે શરૂ થયેલ આ ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો પદયાત્રિકો માટેની સેવા માટે અનેક સેવા કેમ્પો સેવાની સરવાણી વહાવે છે. જેમાં સૌથી મોટો સેવા કેમ્પ જય જલિયાણ ફાઉન્ડેશન દ્વારા દાંતા રતનપુર ખાતે યોજાય છે. જે કેમ્પનો રવિવાર પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં પદયાત્રીઓને મિષ્ઠાન ભોજન ચા-નાસ્તો કરવા માટે ઉત્તમ વ્યવસ્થા અને મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે.
સંત જલારામ બાપા નો જીવન મંત્ર હતો કે ભૂખ્યાને ભોજન કરાવવું અને દુખિયાની સેવા કરવી જેને ફળીભૂત કરવા જય જલિયાણ ફાઉન્ડેશન ડીસા દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમાં છેલ્લા ૧૩ વર્ષથી અંબાજી જતા પદયાત્રીઓની સેવા માટે દાંતાના રતનપુર ખાતે બનાસ દૂધ શીત કેન્દ્ર સામે વિશાળ સેવા કેમ્પ યોજવામાં આવે છે.
સંસ્થાના સેવાભાવી યુવકો દ્વારા પદયાત્રીઓની સેવા માટે ચાલીસ હજાર ફૂટ જેટલો વિશાળ શામિયાણો બનાવાયો છે. જેમાં પદયાત્રીઓને શુદ્ધ ઘીની બુંદી સાથે ભોજન સવારે ચા-નાસ્તો આરામ કરવાની સુવિધા તેમજ મેડિકલ સેવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત પદયાત્રીઓને થાક ઉતરી જાય તે માટે લાઈવ ઓરકેસ્ટ્રા પાર્ટી સાથે દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કલાકારોની ઉપસ્થિતિમાં યોજવામાં આવે છે.
આ કેમ્પના ઉદ્ઘાટનમાં બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય કેશાજી ચૌહાણ , ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઇ પંડયા, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તથા ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ અલ્પેશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.
રવિવારે સેવા કેમ્પનું ઉદઘાટન જય જલિયાણ ફાઉન્ડેશનના દીપકભાઈ ઠક્કર તથા હિતેશભાઈ ઠક્કર સહિતની ઉપસ્થિતિમાં માતાજીની આરતી કરીને કરવામાં આવ્યું હતું. પાંચ દિવસ સુધી ચાલનારા સેવા કેમ્પમાં અંદાજે ત્રણ લાખથી વધુ લોકો આ સેવાનો લાભ લે છે, આ સાથે જય જલિયાણ ફાઉન્ડેશન દ્વારા અંબાજીમા દીવાળી બા ગુરૂભવન ખાતે ભોજન માટે કેમ્પ શરૂ કરાયો છે જે સાત દિવસ ચાલશે જેમાં દોઢ લાખથી વધુ પદયાત્રીઓ સેવાનો લાભ લેશે .