ડીસા-પાટણ હાઇવે પર જીવલેણ ખાડા પડતા લોકોમાં રોષ
અટલ સમાચાર, રામજી રાયગોર
બનાસકાંઠા જીલ્લાના ડીસા-પાટણ હાઇવે પર જીવલેણ ખાડા પડતા વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ભોપાનગર રોડ ઉપર ઠેરઠેર પડેલા ખાડાઓમાં ગદા પાણીના ભરાવાથી મચ્છરનો ઉપદ્રવ વધ્યો. સમગ્ર ડીસા શહેરમાં જયારે નગરપાલિકા દ્વારા સ્વચ્છતાની મોટીમોટી વાતો કરવામાં આવી રહી છે અને નગરપાલિકા દ્વારા ઠેરઠેર સ્વચ્છતા બાબતે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી લાખો રૂપિયાના બેનરો લગાવામાં આવ્યા છે ત્યારે ડીસાના ભોપાનગર વિસ્તારમાં હાઈવે રોડ ઉપર છેલ્લા કેટલાય દિવસથી મોટામોટા ખાડાઓ પડેલ છે જેમાં ગટરોના પાણી ભરાઈ રહ્યા છે. જેના લીધે મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. જેના લીધે લોકોનું આરોગ્ય જોખમાઈ શકે છે અને ગભીર બિમારીઓ ઉભી થઈ શકે છે.
જયારે આ ભોપાનગર રોડ જીવલેણ ખાડા પડતા વાહન ચાલકો તેમજ સ્થાનિક રહીસો મુશ્કેલીમાં મુકાયા છે. જીવલેણ ખાડાના કારણે મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઇ રહી છે. જો જીવલેણ ખાડાના કારણે કોઇ મોટી દુર્ઘટના સર્જાય તો તેની પાછળ જવાબદાર કોણ તે સહિતના સવાલો વાહન ચાલકોમાં ચર્ચાઈ રહ્યા છે. તંત્ર દ્રારા આ જીવલેણ ખાડા દૂર કરાય તેવી માંગ વાહનચાલકોમાં ઉઠવા પામી છે. ત્યારે નગરપાલિકા તેમજ પી.ડબલ્યુ વિભાગ દ્વારા તાત્કાલિક આ પડેલ ખાડાઓ પુરવામાં આવે, દવાનો છટકાવ કરવામાં આવે તેવી વાહનચાલકો તેમજ રાહદારીઓએ માગ કરી છે.