માંગ@રજવાડાઃ સર્વસ્વ દાન આપનાર ક્ષત્રિયો મ્યુઝીયમ માટે શક્તિ પ્રદર્શન કરવા મજબૂર
અટલ સમાચાર, મહેસાણા
વિશ્વની સૌથી મોટી પ્રતિમા કેવડીયા ખાતે રજવાડાઓનું મ્યુઝીયમ બનાવવાની માંગ હવે બુલંદ બની છે. આ માટે આગામી સમયમાં ગુજરાતમાં ક્ષત્રિય સમાજ શક્તિ પ્રદર્શન કરવાના મૂડમાં જણાઈ રહ્યો છે. જોકે, વડાપ્રધાન પણ અહીં સરદાર પટેલના સપનાને પુરુ કરવામાં પોતાનું સર્વસ્વ દેશ માટે આપી દેનારા 562 રજવાડાઓનું મ્યુઝીયમ બનાવવા વચન આપી ચુક્યા છે. શક્તિ પ્રદર્શન દ્વારા સમય ના લંબાવી ઝડપથી મ્યુઝીયમની કામગીરી હાથ ધરવા તેમજ વિશ્વ ફલક ઉપર દેશ માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપનારાઓને સન્માન મળે તેવી સરકાર સમક્ષ માંગ મૂકવામાં આવશે.
562 રજવાડા આપ્યા ત્યારે ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ બન્યાનું ગૌરવ લેનારાઓને સમજવું પડશે કે આજના યુગમાં રજવાડાઓનું દાન દેશવાસીઓના માનસપટલ સમક્ષ રજૂ કરવું અત્યંત આવશ્યક છે
આઝાદી બાદ સરદાર પટેલના એક ભારત માટેનું સપનું પુરુ કરવામાં સૌથી વધુ બલિદાન આપનાર રાજવીઓને નેતાઓ ભૂલી ગયાનો અહેસાસ થતાં સમસ્ત ક્ષત્રિય સમાજ શક્તિ પ્રદર્શન કરશે. તે સાથે રજવાડાઓના બલિદાનને જનમાનસ સુધી પહોંચાડવા મ્યુઝીયમની માંગ સાથે મોટી સંખ્યામાં એકઠો થનાર છે.
ભાવનગરના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજીએ પોતાનું રાજ્ય આપી પ્રથમ પહેલ કરી હતી. આમ પટેલના સપનાને પુરુ કરવામાં સૌથી મોટું યોગદાન અને બલિદાનની શરૂઆત પણ ગુજરાતમાંથી થઈ હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની જગ્યામાં દેશની એકતા, અખંડિતતા માટે 562 રજવાડાઓએ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનારાઓના બલિદાનનું પ્રતિક સમા મ્યુઝીયમ બનાવવાનું વચન વડાપ્રધાન મોદી આપી ચુક્યા છે.
અટલ સમાચારના વોટ્સએપ ગૃપના જોડાવવા અહી ક્લીંક કરો
જેને એક વર્ષથી વધુ સમય વિતી ગયો પરંતું આજદિન સુધી કોઈ નક્કર કામગીરી થતી હોવાનું જણાતું ન હોવાથી પોતાની ઉપેક્ષા થઈ રહી છે તેવી લાગણી સાથે શક્તિ પ્રદર્શનના કાર્યક્રમની રૂપરેખા તૈયાર થઈ રહી છે.
આ સાથે અન્ય માંગો શું રહેશે?
1. હાલમાં ગુજરાતમાં રાજ્ય સભાની ચાર બેઠકો ખાલી પડી છે જેમાં ક્ષત્રિય સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ.
2. વિધર્મી આક્રમણો સમયે ભગવાન સોમનાથની રક્ષા કાજે અગણિત ક્ષત્રિયોએ પોતાના લીલા માથા આપ્યા તે ટ્રસ્ટમાં હાલમાં કોઈ ક્ષત્રિય પ્રતિનિધિત્વ ન હોઈ પ્રતિનિધિત્વ આપવું.
મુખ્યમંત્રીને રાજપૂત કરણી સેનાએ પત્ર લખી માંગ કરી
શ્રી રાજપૂત કરણી સેના દ્વારા તા.2 માર્ચ 2020ને મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર લખી માંગ કરી છે. જેમાં જણાવ્યું છે કે, રાજપૂતો દેશભક્તિના રંગે રંગાયેલા છે. દેશપ્રેમ અને બલિદાન માટે રાજપૂતો હંમેશા આગળ આવી દેશને ટકાવી રાખવા આજેપણ બહુમુલ્ય પ્રદાન કરી રહ્યા છે. દેશમાં કોઈપણ જગ્યાએ આટલા મોટા બલિદાનના પ્રતિકનું નામો-નિશાન નથી ત્યારે કેવડીયા ખાતે રાજા-રજવાડા રાજપૂતોના માન સન્માન માટે મ્યુઝીયમ નિર્માણ કરી અમારી લાગણીને માન આપો.
ક્ષત્રિયોના તમામ સંગઠનો જોડાશે
આઝાદી બાદ આજદિન સુધી રજવાડાઓએ આપેલા દાન વિશે કોઈ નક્કર કામગીરી થઈ નથી. જોકે ભવ્ય મ્યુઝીયમ બનાવવા માટે નાના-મોટા તમામ ક્ષત્રિય સંગઠનો ભેગા થશે. અને વડાપ્રધાનથી લઈ રાષ્ટ્રપતિ સુધી પોતાની લાગણી અને માંગણી મુકવામાં આવશે.
સોશ્યલ મિડીયામાં મ્યુઝીયમ માટેની માંગણીના અગણિત મેસેજ ફોરવર્ડ
ડીજીટલ યુગમાં કોઈપણ વ્યક્તિ પોતાની લાગણી વ્યક્ત કરવા સોશ્યલ મિડીયાનો ઉપયોગ કરે છે તે અનુસંધાને ક્ષત્રિયો દ્વારા વોટ્સએપ, યુ-ટ્યુબ, ફેસબુક, શેરચેટ, હેલ્લો, ટ્વીટર જેવા વિવિધ સોશ્યલ મિડીયાના માધ્યમોમાં મ્યુઝીયમ બનાવવા શક્તિ પ્રદર્શન અને માંગ સાથે અગણીત પોસ્ટ કરી ચુક્યા છે. જોકે, આ પોસ્ટ જોઈ ક્ષત્રિયો આવનારા સમયમાં મોટા શક્તિ પ્રદર્શન સાથે મ્યુઝીયમ બનાવવા મન મક્કમ કરી લીધું હોવાનું જણાઈ રહ્યું છે.