દિયોદરઃ મુખ્યમંત્રીના હસ્તે દૂધના પ્રોસેસીંગ પ્લાન્ટનું ભૂમિપૂજન કરાયું
અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે બનાસ ડેરીના દૈનિક ૩૦ લાખ લીટર દૂધના પ્રોસેસીંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત-ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ડેરીના નવા પ્લાન્ટ સ્થાપવા માટે બનાસ ડેરીને અભિનંદન આપતા જણાવ્યું કે, દેશમાં શ્વેતક્રાંતિ લાવવામાં બનાસ ડેરીનો મહત્વનું યોગદાન છે. તેમણે કહ્યું કે આપણી સંસ્કૃતિમાં ગાય, ગંગા, ગીતાનું વિશેષ મહત્વ છે. સંસ્કૃતિને વરેલી આ સરકાર પશુપાલન અને ડેરી ઉદ્યોગના વિકાસ માટે સક્રિય રીતે સંકલ્પબદ્ધ છે.
કેન્દ્રીય ડેરી અને પશુપાલન રાજ્યમંત્રી ડો. સંજીવકુમાર બાલિયાને જણાવ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સપનું ખેડૂતોની આવક બમણી કરવાનું છે. તેમણે ગુજરાતના સહકારી માળખાની પ્રશંસા કરતાં જણાવ્યું કે ગુજરાતના સહકારી માળખાથી ખૂબ ઝડપથી ખેડૂતોની આવક બમણી કરી શકાશે. તેમણે કહ્યું કે ગુજરાતનું સહકારી માળખું સમગ્ર દેશ માટે આદર્શ અને પ્રેરણાદાયી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠાના સાંસદ સભ્ય પરબતભાઇ પટેલે જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારના આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં પશુપાલન અને ડેરી વિભાગ શરૂ કર્યો હતો એ જ રાહે કેન્દ્રમાં પણ આ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. વર્તમાન કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતો અને પશુપાલકોના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ છે તેમ તેઓએ ઉમેર્યં હતું. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જે બનાસડેરી પાંચ વર્ષ પૂર્વે પશુપાલકોને મહિને 230 કરોડનું ચુકવણું કરતી હતી તે હવે સરેરાશ 630 કરોડનું ચુકવણું કરે છે.
મુખ્યમંત્રીએ ખુલ્લા રથમાં પશુપાલકોનું અભિવાદન ઝીલ્યું હતું. પશુપાલકોએ પુષ્પવર્ષા કરી મુખ્યમંત્રીનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સર્વ શશીકાંતભાઇ પંડ્યા, કીર્તિસિંહ વાઘેલા, નથાભાઇ પટેલ, બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈ, GCMMF ચેરમેન રામસિંહભાઇ પરમાર, ગુજરાત વેર હાઉસીંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, બનાસ બેંકના ચેરમેન એમ.એલ. ચૌધરી, સુમુલના ચેરમેન રાજુભાઈ પાઠક, પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ અને હરજીવનભાઇ પટેલ, અગ્રણીઓ સર્વ શંકરસિંહ રાણા, અલ્પેશભાઈ ઠાકોર, હિતેશભાઇ ચૌધરી, દલસંગભાઈ પટેલ સહિત બનાસ ડેરીના નિયામક મંડળ, સહકારી અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં પશુપાલક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.