ઘટસ્ફોટ@પ્રાંતિજ: જર્જરીત હાઇવેથી થયો અકસ્માત, ટોલપ્લાઝા રોકડીમાં મસ્ત
અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)
હિંમતનગર-ચિલોડા હાઈવે પર શુક્રવારે મોડી સાંજે થયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટો ઘટસ્ફોટ થયો છે. પ્રાંતિજ નજીક નેશનલ હાઇવે પર ઠેર-ઠેર ખાડા હોઇ જર્જરીત બની ગયો છે. વાહન ચલાવતા દરમ્યાન ખાડા ટાળવા જતાં કાર અને બાઇકચાલક એકબીજા સાથે ટકરાયા હતા. ટક્કરને પગલે કાર ઉછળીને બાઇકચાલક સાથે અથડાતા ઘટનાસ્થળે બે ના મોત બાદ સારવાર દરમ્યાન એકનું મૃત્યુ થયુ હતુ. અકસ્માતની ઘટના સામે સ્થાનિકોમાં નેશનલ હાઇવે અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ભારોભાર રોષ છે.
સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ નજીકથી પસાર થતો નેશનલ હાઇવે છેલ્લા કેટલાક સમયથી જર્જરીત બન્યો છે. આ સાથે સમગ્ર હાઇવે છ માર્ગીયમાં રૂપાંતર થઇ રહ્યો છે. જેમાં કતપુર ટોલપ્લાઝાથી પસાર થતી કાર નેશનલ હાઇવે પરના ખાડાને કારણે સામેથી આવતા બાઇકચાલક સાથે ટકરાઇ હતી. જેનાથી કાર અને બાઇક વચ્ચે ઘડાકાભેર અકસ્માત થતા બે વ્યકિતના કરૂણ મોત થયા હતા. જયારે એકનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, નેશનલ હાઇવે પર ઠેર-ઠેર ખાડા પડી જતાં અકસ્માત સામે લોકરોષ ભભુકી ઉઠ્યો છે. સ્થાનિકો સાંસદને કાશ્મીરની ચિંતા કરવા સાથે-સાથે સાબરકાંઠાની જનતા સામે જોવા સોશિયલ મિડીયામાં ટકોર કરી રહ્યા છે. નેશનલ હાઇવેના સત્તાધિશોએ જણાવ્યુ હતુ કે, હાઇવે છ માર્ગીય બની રહ્યો હોવા સાથે રીપેરિંગ કામ વરસાદ બાદ શરૂ કરવાનું છે.
સૌથી મહત્વની વાત સામે આવી છે કે, નેશનલ હાઇવે પરના ખાડાથી થયેલ અકસ્માતની જવાબદારી નક્કી થવી જરૂરી બની છે. જેની સામે પ્રોજેક્ટ અધિકારી ઝોડગેએ જણાવ્યુ હતુ કે, કોન્ટ્રાક્ટરને અનેકવાર વિવિધ બાબતે ધ્યાન દોરવામાં આવેલુ છે. જોકે, નેશનલ હાઇવે અને ટોલપ્લાઝા કોન્ટ્રાક્ટર મળીને ટેક્સ ઉઘરાવવામાં મસ્ત છે તો હાઇવેનું રીપેર કામ કેમ વિલંબમાં ગયુ તે સૌથી મોટો સવાલ છે.
અકસ્માતમાં મૃતકોના નામ
- બાઈકચાલક હિતેન અશોકભાઈ પંચાલ રહે.હિંમતનગર
- કારસવાર અમૃતલાલ બધાજી મીના રહે. રાજસ્થાન
- કારચાલક ગોપાલ રામચંદ્ર તૈલી રહે. રાજકોટ