ઘટસ્ફોટ@વડનગર: ચોરીછૂપીથી કોરોના સાથે મુંબઈથી આવ્યા, ત્રણેય વિરુદ્ધ ફરિયાદ
અટલ સમાચાર, મહેસાણા
વડનગરમાં 3 કેસ પોઝિટીવ આવતા તંત્રની દોડધામ વચ્ચે 3 કોરોનાગ્રસ્ત અને અન્ય એક મળી ચાર સામે અગાઉ પોલીસ ફરીયાદ નોંધાઇ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગત દિવસોએ આ ત્રણ પોઝિટીવ અને અન્ય એક ઇસમ સાથે કુલ ચાર લોકો મુંબઇથી ચોરીછુપીથી મહેસાણા જીલ્લામાં પ્રવેશ્યા હતા. જેન લઇ ચારેય સામે વડનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ હતી. હાલ તમામની સારવાર વડનગર મેડિકલ કોલેજ ખાતે ચાલી રહી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જીલ્લામાં કાલે 3 લોકોને સાજા કરીને ઘરે પરત કરવામાં આવ્યા બાદ વડનગર તાલુકામાં કોરોનાના 3 પોઝિટિવ કેસ આવતા ખળભળાટ મચી ગયો છે. મુંબઈના નયાનગર ખાતે રહેતા આ ત્રણ વ્યક્તિ અને અન્ય એક વ્યક્તિ ગત તા.16 એપ્રિલના રોજ ત્યાંથી ભાગી અને 20 એપ્રિલના રોજ મહેસાણા જીલ્લામાં પ્રવેશ મેળવ્યો હતો. બાદમાં તમામને મોલીપુર ગામની પ્રાથમિક શાળામાં ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, ચારેય આરોપીઓ સામે પોલીસ દ્રારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ-154 હેઠળ તા.22 એપ્રિલના રોજ વડનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ હતી. જેમાં આઇપીસીની કલમ-188, 269 તથા The Epidemic Disease Act, 1879ની કલમ-3 હેઠળ FIR દાખલ થઇ હતી. જે બાબતે હાલ આગળની કાર્યવાહી ચાલુ હોવાનું સામે આવ્યુ છે. આ સાથે તંત્ર દ્રારા મોલીપુર ગામને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.
મુંબઇથી કેવી રીતે પહોંચ્યા વડનગર ?
આ ચાર લોકો મુબઇમાં નયાનગરમાં વસવાટ કરી અલકેશ્વર હોટલમાં નોકરી કરતા હતા. મુંબઇમાં કોરોનાનો પગપેસારો થવાથી તેઓ 16 એપ્રિલના રોજ મુંબઈથી ચાલતા નીકળ્યા હતા. અને ત્યાથી તેમને વાપીથી 20 એપ્રિલે ટેન્કરમાં બેસીને ઉનાવા આવ્યા હતા. અને ત્યારબાદ ઉનાવાથી તેઓ પોતાના વતનમાં આવ્યા હતા.