નારાજગી@સુઇગામ: કેનાલોમાં પાણી કર્યા બંધ, માંગણાપત્રક મુદ્દે વિવાદ
અટલ સમાચાર,સુઇગામ(દશરથ ઠાકોર)
બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઇગામની નર્મદા કેનાલોમાં પાણી છોડવાનું બંધ કરાતા ખેડુતોમાં નારાજગી વધી રહી છે. ખેડુતો આક્ષેપ કરી રહયા છે કે, નર્મદા વિભાગમાં માંગણીપત્રક ન ભર્યુ હોવાથી પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યુ છે. ગુજરાત સરકાર ઘ્વારા અગાઉ ખેડુતો માટે અષાઢી બીજથી કેનાલોમાં પાણી છોડવા કરેલા હુકમનો અનાદર થઇ રહયો છે.
સુઇગામની નર્મદા કેનાલમાં ખેડુતોએ માંગણીપત્રક ભર્યુ ન હોવાનું કારણ દર્શાવી પાણી છોડવાનું બંધ કરી દેતા મામલો ગરમાયો છે. ખેડુતોએ જણાવ્યુ હતુ કે, પાણી પત્રક શિયાળુ સિઝનમાં ભરવાના હોય છે. જોકે ખેડૂતોને હેરાન કરવા ચોમાસામાં પણ પાણીપત્રક ભરવા નર્મદાના અધિકારીઓ દબાણ કરી રહયા છે. સમગ્ર મામલે નર્મદા વિભાગના અધિકારી તડવીનો સંપર્ક કરાતા તેમનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવ્યો હતો.
કેનાલમાં પાણી છોડાવાને લઇ ખેડુતોમાં ભારે આક્રોશ જોવા મળી રહયો છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, સુઇગામ પંથકના ખેડુતોએ હજારો હેકટરમાં વાવેતર કરી દીધુ છે ત્યારે વરસાદ ખેંચાતા પાક સુકાઇ જવાની બીક ઉભી થઇ છે. આવી સ્થિતિમાં જો સમયસર અને જરૂરીયાત મુજબ નર્મદા કેનાલમાં પાણી નહી છોડાય તો ખેડુતોનો રોષ રસ્તા ઉપર રેલી સ્વરૂપે ઉતરે તો નવાઇ નહી.