દિયોદર: વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાને આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર
અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)
દિયોદરમાં છેલ્લા કેટલાય સમયથી વ્યાજખોરોનો ત્રાસ વધતો જાય છે. વ્યાજખોરોના ત્રાસથી કંટાળી એક આશાસ્પદ યુવાને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતા સ્થાનિકોએ તાત્કાલિક યુવકને પહેલા દિયોદર રેફરલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડયો હતો. પણ યુવકની તબિયત વધુ લથડતા તેને પાટણ ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો.
બનાસકાંઠા જીલ્લામાં વ્યાજખોરોના ત્રાસથી કેટલાય આશાસ્પદ યુવકો આપધાત કરવાના કીસ્સા પણ બન્યા છે. દિયોદર તાલુકાના પાલડી ગામના ઠાકોર લાધાજીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી સોમવારે રાતે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોને જાણ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે ત્યાર બાદ તેની તબિયત વધુ લથડતા તેને તાત્કાલિક વધુ સારવાર અર્થે પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.