દિયોદરના વખાની જી.વી.વાઘેલા કોલેજમાં સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી
અટલ સમાચાર,પાલનપુર
દિયોદર તાલુકાના વખા ખાતે આવેલી જી.વી.વાઘેલા આર્ટ્સ,સાયન્સ ઍન્ડ કોમર્સ કોલેજમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ સ્વામી વિવેકાનંદના વિચારોને સમજીને પોતાના જીવનમાં ઉતારે અને તેમના જીવનને સમજે તેવા પ્રયાસરૂપે વિવેકાનંદના જીવનને અનુલક્ષીને નિબંધ લેખન સ્પર્ધા અને વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખી વિદ્યાર્થીઓ અને કોલેજના સ્ટાફ દ્વારા કેમ્પસમાં પતંગોત્સવ ઉજવાયો હતો. વધુમાં સમગ્ર કાર્યક્રમમાં વિશિષ્ટતા રૂપે વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત સ્ટોલ -ડેનું પણ આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓએ પોતે જાતે બનાવેલી વિવિધ વાનગીઓના સ્ટોલ નાંખ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ મળીને કર્યું હતું. કોલેજના આચાર્ય ડૉ.હિતેશગીરી ગોસ્વામીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.