દોડધામ@દિયોદર: પંથકમાં બે કેસ આવતા ગામના તમામ રસ્તાઓ સીલ થયા
અટલ સમાચાર,દિયોદર (કિશોર નાયક)
કોરોના વાયરસને લઇ ચિંતાજનક સ્થિતિ વચ્ચે બનાસકાંઠામાં બે કેસ પોઝીટીવ આવતા ગામના તમામ રસ્તાઓ સીલ કરવામાં આવ્યા છે. ગામડાઓ હરકતમાં આવ્યા હોય ગામમાં રસ્તાઓ બ્લોક કરી ચોકી કરવામાં આવી રહી છે. દિયોદર તાલુકાના ગામડાઓમાં સરપંચ અને યુવાનો દ્રારા કોરોના સામે લડવા માટે ત્રણ-ત્રણ કલાક સેવા આપવાનું નક્કી થયુ છે. જેમાં પણ યુવાનો સેવા આપવા પડાપડી કરી રહ્યા છે. આ સાથે ગામમાં પ્રવેશતા વાહનોના નંબર અને ક્યાંથી આવ્યા અને ક્યાં જવાનું તે સહિતની વિગતો નોંઘવામાં આવી રહી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના ડુચકવાડા ગામે કોરોનાને લઇ જાગૃતિના દ્રશ્યો સામે આવ્યા છે. મહેસાણા અને પાટણ બાદ બનાસકાંઠા જીલ્લામાં પણ કોરોનાએ પગપેસારો કરતા જીલ્લાવાસીઓ ચિંતાગ્રસ્ત બન્યા છે. દિયોદર તાલુકાના ડુચકવાડા ગામે સરપંચ અને યુવાનો દ્રારા ગામની ચારે તરફ ચોકી બનાવવામાં આવી છે. જેમાં બહારથી આવતા દરેક વાહનો અને વ્યક્તિઓને અટકાવી નામ-નંબર, ક્યાંથી આવ્યા અને ક્યાં જવાનું સહિતની વિગતો મેળવીને જ ગામમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, પાલનપુર અને વાવ તાલુકામાં કોરોનાએ પગપેસારો કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. 5 વર્ષના બાળક અને 55 વર્ષના વ્યક્તિના રિપોર્ટ પોઝીટીવ આવતાં યુધ્ધના ધોરણે તપાસ શરૂ થઈ છે. જેને લઇ દિયોદર પંથકના ગામડાઓમાં જડબેસલાક લોકડાઉનનું કડક પાલન કરવામાં આવી રહ્યુ છે. ડુચકવાડા ગામે ચોકી કરવા માટે પણ ગામના યુવાનો પડાપડી કરી રહ્યા છે.