દોડધામ@રાધનપુર: ડેપોમાં ટ્રાફિક કરતા રિક્ષાચાલકો વિરૂધ્ધ મેનેજરની ફરીયાદ
અટલ સમાચાર, રાધનપુર
રાધનપુર એસટી ડેપોના બંને ગેટ પાસે રિક્ષાચાલકોનો અયોગ્ય ઘસારો હોવાનું સામે આવ્યુ છે. ડેપો મેનેજરે રાધનપુર પોલીસને રિક્ષાના નંબર સાથેની ફરીયાદ કરી મુસાફરો અને નિગમનું હિત જાળવવા રજૂઆત કરી છે. અકસ્માતની પ્રબળ સંભાવના અને રિક્ષામાં ખુલ્લેઆમ જુગાર રમાડવામાં આવતો હોવાનો આધાર લઇ ડેપો મેનેજરે કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત ફરીયાદ આપી છે. ડેપોમાં બપોર બાદના સમયે વિધાર્થીઓની સંખ્યા વધુ હોઇ સંગીન ઇરાદાઓ માટે પ્રવૃત્તિ થતી હોવાનું પણ સામે આવ્યુ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ જીલ્લાના રાધનપુર શહેરમાં આવેલા બસ ડેપોમાં રિક્ષાચાલકોનો ત્રાસ હોવાનું ખુદ ડેપો મેનેજરે જણાવ્યુ છે. ડેપોના બંને ગેટ આગળ રિક્ષાઓનુ બિનઅધિકૃત પાર્કિંગ, અકસ્માતનો ભય, અંદરોઅંદર ઝઘડા, રિક્ષાઓમાં ખુલ્લેઆમ જુગાર, બેફામ ગાળાગાળી સહિતના મુદ્દે રાધનપુર પોલીસ મથકે ફરીયાદ કરવામાં આવી છે. જેમાં ડેપો મેનેજરે ત્રણ રિક્ષાચાલકોના નંબર ટાંકી કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસને રજૂઆત કરી છે. આવી સ્થિતિમાં રિક્ષાચાલકો સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, રાધનપુરના મુખ્ય બસસ્ટેન્ડમાં બપોર બાદ અપડાઉન કરતા વિધાર્થીઓનો ઘસારો રહે છે. આ દરમ્યાન રિક્ષાચાલકો ડેપોના બંને ગેટની પાસે મુસાફરો મેળવવા વારંવાર અવરજવર કરતા હોઇ અકસ્માત થવાનો ભય રહે છે. આ સાથે કેટલાક તત્વો ચોક્કસ ઇરાદાઓ પાર પાડવા બિનજરૂરી ડેપોની અંદર અવર-જવર કરતા હોવાની વધુ એક રજૂઆતથી હડકંપ મચી ગયો છે. જેનાથી રિક્ષાચાલકોની ડેપો પાસેની ગતિવિધિ શંકાસ્પદ બની છે.