દોડધામ@સુઇગામ: બાળકો મધ્યાહન ભોજનથી વંચિત, સંચાલકને નોટીસ
અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)
સુઇગામ તાલુકાના નવાપુરા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજનથી વંચિત રહેતા હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર મામલે સુઇગામ માલતદાર કચેરીને ધ્યાને આવતા મધ્યાહન ભોજન સંચાલકની બેદરકારી સામે આવી છે. નાયબ મામલતદાર સહિતની ટીમે વિગતો મેળવતા સંચાલક સામે લાલ આંખ કરી નોટીસ ફટકારવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠા જીલ્લાના સુઇગામ તાલુકાના નવાપુરા ગામે મધ્યાહન ભોજનનો પ્રશ્ન બાળકોને અકળાવી રહયો છે. અભ્યાસ કરતા બાળકોને એક બાજુ પીવા માટે પાણી નથી મળતું અને સાથે ભોજન પણ ન મળતાં વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. સુઇગામ ઇન્ચાર્જ મામલતદાર ને નાયબ મામલતદાર પુરવઠાને જાણ થતા શાળાની મુલાકાતે ટીમ દોડી આવી હતી. જેમાં તપાસ દરમ્યાન સંચાલકની ગેરહાજરીથી મામલો વધુ શંકાસ્પદ બની ગયો હતો.
સમગ્ર મામલે મામલતદાર કચેરી ઘ્વારા સંચાલકને કારણદર્શક નોટીસ આપવા સહિતની તજવીજ હાથ ધરવા સાથે વાલીઓમાં પણ પરિસ્થિતિ યથાવત રહેશે કે કેમ ? તેવા સવાલો ઉભા થયા હતા. ઉલ્લેખનિય છે કે, મધ્યાહન ભોજન બાબતે શાળા આચાર્યની જવાબદારી સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે.
વાસ્મોની કામગીરી જોતા નામ બડે દર્શન ખોટે ?
સુઇગામ તાલુકાના નવાપુરા ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા કેટલાય વર્ષોથી બાળકોને પીવાનું પાણી મુશ્કેલ બની ગયુ છે. વાસ્મો ઘ્વારા સ્વજલધારાની શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ આપેલો છે, ત્યારે સેટીંગ કરી એવોર્ડ આપ્યો હોવાની ચર્ચા ગામમાં વધી ગઇ છે.