દોડઘામ@પ્રાંતિજ: કોરોના વચ્ચે ઉત્સાહમાં વરઘોડો કાઢ્યો, વરરાજા સહિત 17 સામે ફરીયાદ
અટલ સમાચાર ડોટ કોમ, પ્રાંતિજ
પ્રાંતિજ તાલુકાના ગામે પૂર્વ મંજૂરી વગર લગ્ન યોજી વરઘોડો કાઢવા મામલે વરરાજા સહિત 17 વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે. ગઇકાલે ગામમાં વરઘોડો નિકળ્યો હોવાનું જાણી પ્રાંતિજ પોલીસની ટીમ તાત્કાલિક ગામમાં દોડી ગઇ હતી. જ્યાં વરઘોડામાં મોટી સંખ્યામાં માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતાં જોવા મળ્યાં હતા. જેથી પોલીસે તાત્કાલિક ડીજે બંધ કરાવી તપાસ કરતાં લગ્ન માટે કોઇ પૂર્વ મંજૂરી ન મેળવી હોવાનું ખુલ્યુ હતુ. જેથી PSIએ વરરાજા સહિત કુલ 17 વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સાબરકાંઠા જીલ્લામાંથી કોરોનાકાળ વચ્ચે વધુ એક તાયફો સામે આવ્યો છે. અગાઉ માથાસુર બાદ હવે પ્રાંતિજના અમરાપુરમાં પણ લગ્નપ્રસંગે વરઘોડો નીકાળી લોકોની ભીડ એકઠી કર્યાનું સામે આવ્યુ છે. પ્રાંતિજના અમરાપુર ખારી ગામે સુનિલસિંહ વિજયસિંહ ઝાલાના લગ્ન હોઇ વરઘોડો નિકળ્યો હતો.
જોકે હાલના ચાલુ જાહેરનામા અને વર્તમાન સ્થિતિને લઇ લગ્ન અંગે પૂર્વ મંજૂરી જરૂરી હોવા છતાં કોઇજ મંજૂરી વગર મોટી સંખ્યામાં વરઘોડો નીકળતાં પોલીસે કાર્યવાહી કરી છે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, કોરોનાકાળમાં પણ અમુક જગ્યાએ વરઘોડા અને રાસગરબામાં મોટી સંખ્યામાં ભીડ કરતાં લોકો સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. ગઇકાલે પ્રાંતિજના અમરાપુર ગામે પણ આયોજક સુરજસિંહ અને વરરાજા સહિત કુલ 17 વ્યક્તિઓ સામે પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાંતિજ PSI એસ.જે.ગૌસ્વામીએ 17 ઇસમો સામે આઇપીસી 269, 270, 188, 114, મહામારી અધિનિયમની કલમ 3 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51(b) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.