નાટક@રાધનપુર: અવિશ્વાસની સહીમાં વારંવાર નિવેદન બદલ્યા, આખરે ફરીયાદ
અટલ સમાચાર, ગિરીશ જોશી
રાધનપુર નગરપાલિકામાં અવિશ્વાસની દરખાસ્તમાં સહી કરનાર બે નગરસેવકો વારંવાર નિવદન બદલી રહ્યા છે. પોતાની સહી ઘડીભર સાચી કે ઘડીભર ખોટી હોવાની રજૂઆત કરી રહ્યા છે. આથી ચીફ ઓફીસર માટે અવિશ્વાસનો પ્રસ્તાવ જ શંકાસ્પદ હોવાની સ્થિતિ બની છે. સમગ્ર મામલે જેની વિરૂધ્ધ અવિશ્વાસ પસ્તાવ છે તે મહિલા નગરસેવકે આખરે નગરપાલિકા કમિશ્નરને ફરીયાદ કરી બંને કોર્પોરેટરોને બરખાસ્ત કરવા પત્ર લખ્યો છે.
પાટણ જીલ્લાની રાધનપુર પાલિકામાં કોંગ્રેસી નગરસેવકો વચ્ચે લેખિતમાં નાટકબાજી શરૂ થતા ખળભળાટ મચી ગયો છે. કેટલાક દિવસો અગાઉ બાંધકામ કમિટી ચેરમેન વિરૂધ્ધ હરદાસ આયર સહિતના છ સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવ મુક્યો હતો. જેના ગણતરીના કલાકોમાં છ પૈકી બે નગરસેવકોએ છેતરીને પોતાની સહી કરાવી હોવાનું જણાવી દરખાસ્ત ફાઇલે કરવા ચીફ ઓફીસરને પત્ર લખ્યો હતો.
આ પછી ફરી એકવાર બંને નગરસેવકોએ પોતાની જ સહી સાચી હોવાની રજૂઆત કરી ફેરવી તોળ્યું છે. નગરસેવક ટાંકુબેન ભરવાડ અને ચેતન પટેલે છેતરીને સહી કરી ન હતી અને સહી સાચી હોવાનું ચીફ ઓફીસરને જણાવતા અવિશ્વાસ પ્રસ્તાવ શંકાસ્પદ બની ગયો છે. આથી અવિશ્વાસ પ્રસ્તાવ જેના વિરૂધ્ધ છે તે મીનાબેન મકવાણા(બાંધકામ કમિટી ચેરમેન)એ નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નર અને કલેક્ટરને પત્ર લખી ફરીયાદ કરી છે. જેમાં પોતાની જ પાર્ટીના બંને નગરસેવકો આર્થિક પ્રલોભનમાં સ્ટેટમેન્ટ બદલતા હોવાનો આક્ષેપ કર્યો છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, રાધનપુર પાલિકામાં સત્તાધિન કોંગી નગરસેવકો વચ્ચે જ આંતરિક હોર્સ ટ્રેડિંગ શરૂ થતા ચકચાર મચી ગઇ છે. આવી સ્થિતિમાં વારંવાર નિવેદન બદલતા નગરસેવકો પાલિકામાં અને શહેરમાં હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઇ રહ્યા છે. આ તરફ પાલિકામાં વિપક્ષ ભાજપને નગરસેવકોની નાટકબાજી જોવાની તક મળી છે.