ચૂંટણી@ગુજરાત: રાજ્યસભાની બેઠકો કબજે કરવા આ ગણિત કામ લાગશે
અટલ સમાચાર, મહેસાણા
ગુજરાતમાં રાજ્યસભાની ચુંટણીને લઇ ભાજપ-કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જેમાં થોડાક સમયમાં બંને પક્ષોના ઉમેદવારો ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવશે. ભાજપે રમીલાબેન બારા, અભય ભારદ્રાજ અને નરહરિ અમીનને ઉમેદવાર જાહેર કર્યા છે. તો કોંગ્રેસે ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલની પસંદગી કરી છે. નોંધનિય છે કે, કોંગ્રેસમાં આંતરિક નારાજગી હોવાથી 103 ધારાસભ્યો હોવા છતાં પણ ભાજપે રાજ્યસભામાં 3 ઉમેદાવારો મેદાનમાં ઉતાર્યા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે જૂના જોગી નરહરિ અમીનને મેદાનમાં ઉતારીને કોંગ્રેસી ધારાસભ્યોને ક્રોસ વોટીંગ કરાવવાનો તખ્તો ઘડી લીધો છે. એકડીયા બગડીયાના ગણિતમાં ગુજરાતમાં ભાજપ મેદાન મારવાની ફિરાકમાં છે. ત્યારે કોંગ્રેસે ધારાસભ્યોની નારાજગીને કારણે ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલને ટિકિટ આપી છે જેને કારણે હજુ પણ ધારાસભ્યોમાં નારાજગી છે. વિધાનસભામાં ધારાસભ્યોના વોટીંગ માટે એકડિયા બગડિયાનું ગણિત સમજવું જરૂરી છે. આ માટે સૌથી પહેલા ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી કોની પાસે કેટલી બેઠક છે તે જાણવુ પડે.
કોની પાસે કેટલી બેઠક ?
- ભાજપ પાસે 103
- કોંગ્રેસ પાસે 73
- BTPના 2
- NCP 1
- અપક્ષ 1
જેટલી બેઠક હોય તેમાં 1 ઉમેરી કુલ બેઠકને ભાગો
રાજ્યસભાનું ગણિત ગણવા માટે જેટલી બેઠકોની ચૂંટણી હોય તેમાં 1 ઉમેરવો પડે. આપણે ત્યાં 4 ખાલી થઈ રહી છે તેમાં એક ઉમેરતા એ સંખ્યા 5 આવે. હાલમાં ભાજપ, કોંગ્રેસ અને તમામ ધારાસભ્યો મળતા વિધાનસભાની 180ની સંખ્યા છે. દ્વારકા અને મોરવા હડફ બેઠકના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવાયા છે. એટલે કે હાલમાં 180 ધારાસભ્યોની હાજરી છે.
એક બેઠક જીતવા કેટલા મત જોઈએ?
180 ધારાસભ્યોની સંખ્યાને 5 વડે ભાગવાનું ગણિત છે. એટલે એ આંકડો આવે છે 36 અને ગણિત પ્રમાણે તેમાં 1 સંખ્યા ઉમેરવાની એટલે આમ એક બેઠક ચૂંટાવા માટે ભાજપ અને કોંગ્રેસને 37-37 મતોની જરૂર પડે.
ભાજપને 3 બેઠક જીતવા કેટલા મત જોઈએ?
એટલે કે ભાજપને 3 બેઠકો ચૂંટવા માટે 111 મતોની જરૂર પડે. જ્યારે હાલ ભાજપ પાસે 103 મતો છે. BTPના 2 અને NCPનો 1 મત મેનેજ થાય તો પણ 5 મત ખૂટે છે. એવા સમયે બગડા ગણવાના ગણિત પ્રમાણે ભાજપને 3 મત મેનેજ કરવા પડે. આ 3 મતો કોંગ્રેસના ધારાસભ્યો આપે તો બગડાના ગણિત પ્રમાણે ભાજપને 35 મત મળી જાય. જ્યારે બગડાના ગણિત પ્રમાણે કોંગ્રેસને 34 મત જ મળે. જેના વધારે મત હોય તેનો ઉમેદવાર વિજેતા ગણાય. આમ ભાજપને માત્ર 3 કોંગ્રેસી ધારાસભ્યોના ક્રોસ વોટ મળે તો 1 સીટનો ફાયદો થાય તેમ છે.
કોંગ્રેસનો બીજો ઉમેદવાર ચૂંટાવો થોડો મુશ્કેલ
કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને ભાજપ મેનેજ કરે તો કોઈપણ સંજોગોમાં કોંગ્રેસનો બીજો ઉમેદવાર ન જીતે. કોંગ્રેસ પાસે 73 ધારાસભ્યો છે. જેમાંથી 3 મેનેજ થાય તો માત્ર 70 ધારાસભ્યો બચે. 1 મત જિગ્નેશ મેવાણીનો કોંગ્રેસને મળે તો પણ કોંગ્રેસ પાસે કુલ 71 મત જ થાય છે. એક ઉમેદવાર તો કોંગ્રેસનો એકડા પર ચૂંટાય પણ બાકીના સભ્યોએ બગડો જ લખવો પડે.
બગડાનું ગણિત
એટલે કે 71માંથી 37 બાદ કરતા જેટલા મત વધે તેને બગડામાં જ મત આપવો પડે. એટલે કે કોંગ્રેસના બગડા 34 થાય જ્યારે ભાજપના બગડા 35 થાય. આમ જેના બગડા વધારે હોય તેનો ઉમેદવાર વિજેતા જાહેર થાય જેમાં ભાજપના 3 ચૂંટાઈ શકે. કોંગ્રેસને બગડાની ગેઈમમાં માત્ર 1 જ બેઠક મળે તેમ છે જો ભાજપ 3 સભ્યો મેનેજ કરે છે. ત્રીજા ઉમેદવારને ભાજપ જાહેર કરીને ભાજપે આ ગણિત માંડી લીધુ છે. જેને પગલે માજી મુખ્યમંત્રી નરહરિ અમિનના નામની જાહેરાત કરવામાં આવી છે.