ચૂંટણી@દેશ: રાહુલ ગાંધીનું વધુ એક ચૂંટણી વચન 'કોંગ્રેસની સરકાર બનશે તો મિલકતની વહેંચણી અંગે સર્વે કરાશે'

 
રાહુલગાંધી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોંગ્રેસે લોકસભા ચૂંટણીને લઈને પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. પાર્ટીએ ચૂંટણી ઢંઢેરામાં ઘણા લોકપ્રિય વચનો આપ્યા છે. આ સિવાય વાયનાડથી લોકસભાના ઉમેદવાર રાહુલ ગાંધીએ ફરી એકવાર મોટું વચન આપ્યું છે. હૈદરાબાદમાં એક રેલીને સંબોધતા તેમણે કહ્યું કે જો પાર્ટી સત્તામાં આવશે તો જાતિ ગણતરી સિવાય તે મિલકતની વહેંચણી પર પણ સર્વે કરશે.દેશની મોટાભાગની સંપત્તિ કોની પાસે છે તે જાણવા માટે પાર્ટી નાણાકીય અને સંસ્થાકીય સર્વે કરશે. આ અમારું વચન છે.

જાહેર સભાને સંબોધતા તેઓએ કહ્યું, ‘અમે પહેલા દેશવ્યાપી જાતિ ગણતરી કરાવીશું કે કેટલા લોકો કઈ શ્રેણીમાં આવે છે. આમાં અન્ય પછાત વર્ગો (OBC), અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ અને લઘુમતી સમુદાયોનો સમાવેશ થશે. આ પછી, અમે ભંડોળના સમાન વિતરણની ખાતરી કરવા માટે નાણાકીય અને સંસ્થાકીય સર્વેક્ષણ કરીશું. જેથી મિલકતની વહેંચણી અંગે માહિતી મેળવી શકીએ. રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ એ સુનિશ્ચિત કરશે કે તે લોકોને તેમનો વાજબી હિસ્સો આપે.

રાહુલ ગાંધીએ કહ્યું કે દેશની કુલ વસ્તીમાં મોટી સંખ્યામાં SC, ST, OBC અને લઘુમતી વર્ગોની છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તમે આજે પણ આ લોકોને નોકરી કરતા નથી જોઈ શકતા. આજે પણ 90 ટકા વસ્તી પાસે કોઈ હિસ્સો નથી. તેઓએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી દેશની સંપત્તિ, નોકરીઓ અને અન્ય જન કલ્યાણ યોજનાઓને સમુદાયોની વસ્તી અનુસાર વહેંચવાનું કામ કરશે.