ચૂંટણી@દેશ: કોંગ્રેસમાં થઈ બબાલ! બે દિગ્ગજ નેતા થયા સામ-સામે, જાણો સમગ્ર મામલો

 
રાહુલ ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ નિવેદન આપીને વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પ.બંગાળમાં છેલ્લાં ઘણાં સમયથી મમતા બેનરજી અને અધીર રંજન ચૌધરી વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળી રહ્યું છે. જેના લીધે જ I.N.D.I.A. ગઠબંધનને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આ મામલે ખુદ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ નિવેદન આપીને વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તેના લીધે ખડગે અને અધીર રંજન ચૌધરી વચ્ચે બોલાચાલી કે બબાલ થાય તેવી સ્થિતિ સર્જાઇ છે. માહિતી અનુસાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીનું નામ લીધા વિના કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ તેમના પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા.

અહેવાલ મુજબ, તેમણે કહ્યું કે તેઓ એવા કોઈ નેતાના પક્ષમાં બોલી શકતા નથી જે રાજ્યમાં રાજકીય રીતે તેમને અને તેમની પાર્ટીને ખતમ કરવા માંગે છે. તેમની આ ટિપ્પણીઓ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનના કલાકો પછી આવી છે જેમાં તેમણે કહ્યું હતું કે અધીર રંજન ચૌધરી એ નક્કી કરનારા નથી કે લોકસભા ચૂંટણી પછી I.N.D.I.A. ગઠબંધન સત્તામાં આવશે તો મમતા બેનરજી ગઠબંધનનો ભાગ બનશે કે નહીં?

જ્યારે મલ્લિકાર્જુન ખડગેના નિવેદન વિશે પૂછવામાં આવ્યું ત્યારે અધીર રંજન ચૌધરીએ કહ્યું, 'હું એવા વ્યક્તિના પક્ષમાં ન બોલી શકું જે મને અને અમારી પાર્ટીને બંગાળમાં રાજકીય રીતે ખતમ કરવા માંગે છે. આ લડાઈ કોંગ્રેસના દરેક કાર્યકર્તાની છે. મેં તેમના વતી વાત કરી છે. ચૌધરીએ કહ્યું કે મમતા બેનરજી સામે તેમનો વિરોધ તેમના સિદ્ધાંતવાદી વલણ દર્શાવે છે અને વ્યક્તિગત હિત અથવા ગેરલાભનહીં. કોંગ્રેસ નેતાએ કહ્યું, મારે તેમનાથી કોઈ અંગત દ્વેષ નથી. પરંતુ હું તેમની રાજકીય નૈતિકતા પર સવાલ ઉઠાવું છું. 

અધીર રંજન બંગાળની બહેરામપુર લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર છે. તે 2019માં અહીંથી જીત્યા હતા.ઉલ્લેખનીય છે કે મમતા બેનરજીએ થોડા દિવસો પહેલા એક જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે જો કેન્દ્રમાં I.N.D.I.A. ગઠબંધનની સરકાર બનશે તો તેઓ તેને બહારથી સમર્થન આપશે.તેમના નિવેદન પર ટિપ્પણી કરતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે મમતા બેનર્જી પર વિશ્વાસ કરી શકાય નહીં. તે ભાજપ સાથે જઈ શકે છે. જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પત્રકારોને કહ્યું કે, મમતા બેનર્જી મહાગઠબંધનની સાથે છે.