ચૂંટણી@બિહાર: NDAની દમદાર જીત બાદ વડાપ્રધાન મોદીએ શું પ્રતિક્રિયા આપી? જાણો વિગતે

 
મોદી
ચૂંટણી પરિણામમાં NDAએ બહુમતનો આંકડો પાર કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAએ દમદાર જીત મેળવ્યા બાદ વડાપ્રધાન મોદીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે NDAની જીતને સુશાસન અને વિકાસની જીત ગણાવી છે. વડાપ્રધાન મોદીએ બિહાર ચૂંટણી અંગે સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘સુશાસનની જીત થઈ છે, વિકાસની જીત થઈ છે, જન-કલ્યાણની ભાવનાની જીત થઈ છે, સામાજિક ન્યાયની જીત થઈ છે.’

તેઓએ વધુમાં લખ્યું છે કે, ‘બિહાર વિધાનસભા ચૂંટણી-2025માં NDAને ઐતિહાસિક અને અભૂતપૂર્વ જીતના આર્શિવાદ આપનાર બિહારમાં મારા પરિવારજનોનો ખૂબ-ખૂબ આભાર. આ પ્રચંડ જીત, અમને પ્રજાની સેવા કરવાનો અને બિહાર માટે નવા સંકલ્પ સાથે કામ કરવાની શક્તિ આપશે. હું એનડીએના દરેક કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરું છું, જેમણે અથાગ પરિશ્રમ કર્યો છે.’તેમણે કહ્યું કે, ‘એનડીએના કાર્યકર્તાઓ પ્રજા વચ્ચે ગયા હતા અને અમારા વિકાસનો એજન્ડા રજૂ કર્યો હતો. તેઓએ વિપક્ષના તમામ જુઠ્ઠાણાઓનો મજબૂત જવાબ આપ્યો હતો. હું કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપણે આવનારા સમયમાં બિહારના વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રાજ્યની સંસ્કૃતિને નવી ઓળખ આપવા માટે મજબૂતીથી કામ કરીશું. અમે સુનિશ્ચિત કરીશું કે, રાજ્યની યુવા શક્તિ અને નારી શક્તિને સમૃદ્ધ જીવન આપવાની ભરપૂર તક મળે.’

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAએ ગઠબંધને બહુમતનો 200 બેઠકોનો આંકડો પાર કરી લીધો છે. ગઠબંધનના સાથી પક્ષ ભાજપ 92 બેઠક પર, નીતિશ કુમારની જેડીયુ 82 બેઠક, ચિરાગ પાસવાનની LJPRV 21 બેઠકો પર, હમ પાર્ટી પાંચ બેઠકો પર અને આરએલએમ ચાર બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે વિપક્ષી મહાગઠબંધન માત્ર 34 બેઠકો પર આગળ ચાલી રહી છે. મહાગઠબંધનના સાથી પક્ષ રાષ્ટ્રીય જનતા દળ 25, કોંગ્રેસ પાંચ, સીપીઆઈએમએલએલ ત્રણ, સીપીઆઈએમ એક બેઠક પર આગલ ચાલી રહી છે. વલણ મુજબ ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે.