ચૂંટણી@ગુજરાત: મતદાનને લઈ લેવાયો મહત્ત્વનો નિર્ણય, AMTS બસોમાં મળશે આ ખાસ સુવિધાઓ

 
એ એમ ટી એસ
ફ્રી મુસાફરીની આ સુવિધા આવતીકાલે એક દિવસ માટે આપવામાં આવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આવતીકાલે રાજ્યમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવામાં આવશે. એટલે કે આવતીકાલે 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે રાજ્યની 25 બેઠકો પર મતદાન થવાનું છે. સાથે જ વિધાનસભાની પેટા ચૂંટણી માટે 5 બેઠકો પર મતદાન થશે. આ મહાપર્વમાં લોકો ઉત્સાહભેર ભાગ લઈ શકે અને વધુમાં વધુ મતદાન થયા તે માટે અમદાવાદ AMTS દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.અમદાવાદ સહિત રાજ્યભરમાં આવતીકાલે લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા અમદાવાદમાં થનારા મતદાનને લઈ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આવતીકાલે મતદાન કરનારા વ્યક્તિને નિ:શુલ્ક મુસાફરીની સેવા આપવામાં આવશે. મત જાગૃતિના ઉદ્દેશ્ય સાથે વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે AMTS દ્વારા આ સુવિધા આપવામાં આવી રહી છે. માહિતી મુજબ, મતદાન કર્યાનું નિશાન બતાવીને લોકો આ બસોમાં નિ:શુલ્ક મુસાફરીનો લાભ લઈ શકશે. ફ્રી મુસાફરીની આ સુવિધા આવતીકાલે એક દિવસ માટે આપવામાં આવશે. આવતીકાલે ત્રીજા તબક્કાના મતદાનમાં ગુજરાતમાં પણ મતદાન થવાનું છે. મતદાનને લઈને ચૂંટણી પંચ દ્વારા પણ સારી એવી તૈયારીઓ કરવામાં આવી રહી છે. જ્યારે, બીજી તરફ મતદાન કરવા માટે ખાનગી બસોનું બુકિંગ ખૂબ જ વધી ગયું છે.

માહિતી મુજબ, સુરત, અમદાવાદ અને વડોદરામાંથી સૌરાષ્ટ્ર માટે બુકિંગ ખૂબ વધ્યું છે. સુરતમાં અત્યારે ધંધાર્થે ઘણા લોકો વસવાટ કરી રહ્યા છે. સુરત શહેરમાંથી 200 કરતા વધારે જ્યારે અમદાવાદમાંથી 150 કરતા વધારે બસોનું બુકિંગ થયું છે. વડોદરાની વાત કરવામાં આવે તો આ શહેરમાંથી 100 કરતા વધારે બસોનું બુકિંગ કરાયું છે. નોંધનીય છે કે, મતદાન કરવા જતાં લોકો માટે બસમાં ખાસ સુવિધા કરવામાં આવી છે.