EVM: વિરોધ પક્ષની અરજીને લઇ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ ફટકારી
અટલ સમાચાર,ડેસ્ક
સુપ્રીમ કોર્ટે ઈવીએમ મામલે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. વધુમાં કોર્ટે ચૂંટણી પંચ પાસે 25 માર્ચ સુધીમાં જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે વિરોધ પક્ષોના નેતાઓ ચંદ્રબાબુ નાયડુ, અખિલેશ યાદવ, કે સી વેણુગોપાલ, શરદ પવાર, અરવિંદ કેજરીવાલ, સતીષચંદ્ર મિશ્રા સહિતના 21 નેતાઓની અરજી પર ચૂંટણી પંચને નોટિસ આપી છે. આ અરજીમાં આવનારી ચૂંટણીમાં ઈવીએમ દ્વારા ગડબડીની આશંકા વ્યક્તક રતા 50 ટકા સુધીની VVPAT કાપલીઓ ઈવીએમ સાથે મેળવવાની માગણી કરાઈ હતી. આ મામલે વધુ સુનાવણી 25 માર્ચે હાથ ધરાશે.
મહત્વનું છે કે, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને સુપ્રીમ કોર્ટથી મોટો આંચકો આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કમલનાથ અને સચિન પાઈલટની અરજી ફગાવી હતી. જેમાં બંને નેતાઓએ આગામી વિધાનસભાની ચૂંટણીને પારદર્શક બનાવા માટે અરજી દાખલ કરી હતી. અરજીમાં એવી માગણી કરાઈ હતી કે વોટર લિસ્ટની જાણકારી ચૂંટણી પંચ કોંગ્રેસને ટેક્સ્ટ મોડમાં આપે. અરજીમાં દસ ટકા મતોને વીવીપેટ સાથે મિલાવવાની માગણી કરાઈ હતી. આ ઉપરાંત મતદાતા સૂચિમાં મોટી સંખ્યામાં નકલી મતદારો હોવાની વાત કરાઈ હતી.
જોકે, સમગ્ર મામલે રાજકીય પક્ષોએ ઈવીએમમાં ગડબડી કરતા ચૂંટણી બેલેટ પેપરથી કરાવવાની માગણી કરી હતી. અનેક પાર્ટીઓએ તો સદનની અંદર ઈવીએમને કઈ રીતે હેક કરી શકાય છે તેનો ડેમો બતાવવાની કોશિશ પણ કરી હતી. આ બધી વાતોને ચૂંટણી પંચે ખોટી ઠેરવી હતી. ચૂંટણી પંચનું સ્પષ્ટ કહેવું હતું કે દરેક ચૂંટણી નિષ્પક્ષ રીતે થઈ છે અને આગળ પણ થશે. ચૂંટણી પંચે જણાવ્યુ હતુ કે, ઈવીએમમાં કોઈ પણ પ્રકારની ગડબડી નથી. અને ઇવીએમને કોઇ રીતે હેક કરી શકાતુ નથી.