ફફડાટ@મહેસાણા: ડેરીમાં અધિકારી આવી શકે, રજીસ્ટ્રારની તમામ સભ્યોને નોટીસ
અટલ સમાચાર, મહેસાણા
કોરોના મહામારી વચ્ચે મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી હાલ પુરતી સ્થગિત થઇ છે. જોકે રાજકીય ગતિવિધિઓને લઇ વહીવટી વાતાવરણ બરોબરનું ગરમાયુ છે. એકસાથે 13 મુદ્દાઓને લઇ રાજ્ય રજીસ્ટ્રારે દૂધસંઘમાં વહીવટદાર કેમ નહિ મૂકવા ? લગત તમામ સભ્યોને નોટીસ ફટકારી છે. આવી સ્થિતિમાં ગંભીર નાણાંકીય અને વહીવટી સવાલો સામે ઇન્ચાર્જ મેનેજીંગ ડીરેક્ટર અને સભ્યો સહિતના નિયામક મંડળે જવાબ કરવા તૈયારી શરૂ કરી છે. રાજ્ય રજીસ્ટ્રારે આગામી 4 ઓગષ્ટ સુધી જવાબ નહિ આવે તો ડેરીનો વહીવટ કરવા અધિકારી મુકવા તૈયારી બતાવી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
ઉત્તર ગુજરાતની મહેસાણા સ્થિત દૂધસાગર ડેરી તાજેતરમાં ઘીમાં ભેળસેળને લઇ વિવાદોમાં આવી હતી. આ પછી રાજ્ય રજીસ્ટ્રારની કચેરી દ્રારા ઘીમાં ભેળસેળની તપાસમાં નિષ્ફળતા સાથે-સાથે દૂધસંઘના વહીવટી અને નાણાંકીય મુદ્દાઓને લઇ ચોંકાવનારા સવાલો કર્યા છે. જેમાં કર્મચારીઓને અનઅધિકૃત રીતે ડબલ પગાર આપવા, ખોટી ભરતી કરવી, બિનઅધિકૃત વ્યક્તિઓને નિયામક મંડળની મિટિંગમાં હાજર રહેવા દેવા, દૂધ મંડળીઓને સભાસદ નહી બનાવવી, ખોટા ઠરાવો કરવા, ખાલી ડીરેક્ટરની જગ્યા નહી ભરવી, સાધારણ સભાને ગેરમાર્ગે દોરવી, અણઘડ વહીવટ, ખોટા એજન્ડા કાઢવા, પેટા કાયદાનું ઉલ્લંઘન, ખોટો ભાવવધારો ચુકવવા અને માહિતીઓ ન આપવા સહિતના મુદ્દે ખુલાસો પુછ્યો છે.
સૂત્રોએ જણાવ્યુ હતુ કે, રાજ્ય રજીસ્ટ્રારે 13 મુદ્દાનો ઉલ્લેખ કરી ડેરીમાં વહીવટદાર કેમ નહિ નિમવા તે બાબતે નોટીસ આપી છે. જેમાં આગામી તા. 04-08-2020ના રોજ સુધી મુદ્દાસર જવાબ રજૂ કરવા આદેશ કરતાં ખળભળાટ મચી ગયો છે. રાજ્ય રજીસ્ટ્રારે સહકારી કાયદાની કલમ 81 મુજબ દૂધસાગર ડેરીના ઇન્ચાર્જ મેનેજીંગ ડીરેક્ટર અને તમામ ડીરેક્ટર સહિત સમગ્ર નિયામક મંડળને નોટીસ ફટકારી છે. આવી સ્થિતિમાં દૂધસાગર ડેરીની ચૂંટણીની ગતિવિધિમાં કોરોના મુસિબત બન્યા બાદ વહીવટી મુદ્દે અધિકારીરાજ આવે તેવા એંધાણ છે.