નિષ્ફળ@વહીવટ: અંબાજીમાં ગંદકી યથાવત, રાત્રે કચરો ઠલવાતો હોવાની આશંકા
અટલ સમાચાર, અંબાજી (રિતીક સરગરા)
અંબાજીમાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુંઓ ઉમટી રહ્યા છે ત્યારે ગંદકીનો પ્રશ્ન ફરી એકવાર સામે આવ્યો છે. અંબાજી બસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ અનમોલ કોમ્પ્લેક્ષની બહારનાં ભાગમાં પંચાયત દ્વારા પેશાબ ઘર બનાવેલ છે. ત્યાં સફાઈ કરવામાં આવતી ન હોવાથી લોકો પેશાબ કરવા અંદર સુધી જતા નથી અને ખુલ્લામાં બહાર જ પેશાબ કરે છે. જેનાથી નજીકના રહીશો ત્રાહીમામ્ પોકારી ગયા છે. અઠવાડીયા અગાઉ કરેલી રજૂઆત છતાં પરિસ્થિતિ ઠેર છે.
બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના યાત્રાધામ અંબાજીના રહીશો ગ્રામ પંચાયતની બેદરકારીથી નિરાશ બન્યા છે. પંચાયત દ્વારા બનાવેલ મુતરડી છેલ્લા કેટલાક સમયથી અત્યંત ગંદકી અને કચરાથી ખદબદી છે. જેનાથી પસાર થતા લોકો મુતરડીને બદલે બહાર જ પેશાબ કરી નિકળી જાય છે. આવી સ્થિતિને પગલે ખુલ્લામાં થતો પેશાબ અત્યંત દુર્ગંધ મારતો હોઇ અનમોલ કોમ્પ્લેક્ષના રહીશો પરેશાન બન્યા છે. જેની રજૂઆત સ્થાનિક મહિલાઓએ કરી છતાં ગંદકીનો સવાલ હલ થયો નથી.
સમગ્ર મામલે અંબાજી ગ્રામ પંચાયતના સત્તાધીશ વી. ડી જોશીએ જણાવ્યુ હતુ કે, રજૂઆતને પગલે સફાઇ કરવામાં આવી હતી. જોકે રાત્રિના સમયે કોઇ કચરો અને ગંદકી ઠાલવી જતું હોવાથી મુશ્કેલી છે. પંચાયત હસ્તકની મુતરડી રોજીંદા સ્વરૂપે સાફ થાય અને કેટલાક દિવસો વ્યવસ્થા ગોઠવી ખુલ્લામાં પેશાબ કરતા અટકાવાય તો સમસ્યાનું નિરાકરણ આવે તેમ મનાય છે.
મહિલાઓના મતે સમસ્યા અત્યંત ગંભીર
પેશાબ ઘરની બાજુમાં જ અનમોલ કોમ્પ્લેક્ષનો ગેટ છે. ત્યાં રહેતી મહિલાઓ તેમના છોકરાઓને સ્કૂલ લેવા-મુકવા કે બજારમાં જવા નિકળે તે દરમ્યાન મુતરડી આગળથી જ પસાર થવું પડે છે. આથી પુરુષોને જોઈ શરમજનક સ્થિતિમાં મુકાવુ પડે છે. જ્યારે આ પેશાબ ઘરને બંધ કરવાની બાબતને લઇને ત્યાંની મહિલાઓ દ્વારા ઘણીવાર મૌખિક અને લૈખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જોકે પંચાયતનાં જવાબદાર અધિકારીઓ જાણે આંખ આડા કાન કરી બેઠા હોય તેવી સ્થિતિ બની છે. પેશાબઘરને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેવી માંગ ત્યાંની મહિલાઓ અને સ્થાનિક રહેવાસીઓ કરી રહ્યા છે.