બનાસકાંઠા: મગફળી ખરાબ હોવાનું કહી ખરીદી બંધ, ખેડૂતો લાલઘૂમ

અટલ સમાચાર, મહેસાણા બનાસકાંઠામાં જ્યારથી ટેકાના ભાવે મગફળી ખરીદીનું કામ શરૂ થયું ત્યારથી ખેડૂતોને હાલાકી પણ ઓછી નથી. કેટલાક ગંજ બજારમાં નાફેડ અને પુરવઠાના કર્મચારીઓ મગફળી ખરાબ હોવાનું કહી ખરીદી બંધ કરતાં ખેડૂતો લાલઘૂમ બન્યા છે. ખરીદી બંધ હોવાથી જથ્થો પડી રહેતા ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રાજ્ય સરકારે ગત વર્ષે મગફળી આક્ષેપોનો સામનો કર્યા
 
બનાસકાંઠા: મગફળી ખરાબ હોવાનું કહી ખરીદી બંધ, ખેડૂતો લાલઘૂમ

અટલ સમાચાર, મહેસાણા

બનાસકાંઠામાં જ્યારથી ટેકાના ભાવે મગફળી ખરીદીનું કામ શરૂ થયું ત્યારથી ખેડૂતોને હાલાકી પણ ઓછી નથી. કેટલાક ગંજ બજારમાં નાફેડ અને પુરવઠાના કર્મચારીઓ મગફળી ખરાબ હોવાનું કહી ખરીદી બંધ કરતાં ખેડૂતો લાલઘૂમ બન્યા છે. ખરીદી બંધ હોવાથી જથ્થો પડી રહેતા ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

રાજ્ય સરકારે ગત વર્ષે મગફળી આક્ષેપોનો સામનો કર્યા બાદ આ વર્ષે ખેડૂતોને હાલાકી વધી રહી છે. બનાસકાંઠા જિલ્લાના ગંજબજારમાં નાફેડ અને પુરવઠા દ્વારા ખેડૂતોને મેસેજ કરી બોલાવવામાં આવી રહ્યા છે. જે ખેડૂતોને સંદેશો મળે તેઓજ મગફળી વેચી શકે છે. આ દરમિયાન અચાનક મગફળી ખરાબ હોવાની દલીલો વધી રહી છે. છેલ્લા બે દિવસથી ખેડૂતો અને કર્મચારીઓ વચ્ચે ઘર્ષણને અંતે 40થી વધુ ટ્રોલીમાં પડેલી મગફળીનું વેચાણ થઈ શક્યું નથી.

આ તરફ લાખણી સાથે દિયોદર, ધાનેરા અને ભાભરમાં પણ મગફળીની ગુણવત્તા સામે સવાલો કરી સેમ્પલ ફેલ કરવામાં આવતા ખેડૂતો આક્રમક બન્યા છે. ખેડૂતોની દલીલ છે કે ખરાબ મગફળીના દાણા કે કચરો કાઢી નાખે તો વાંધો નથી પરંતુ લાલ ટીકી વાળા કેટલાક દાણા જોઈ ખરીદી બંધ ન થાય. ટેકાના ભાવે ખરીદવાનું બંધ કરતા જિલ્લાના ખેડૂતોએ કલેકટર કચેરીએ જઈ આવેદનપત્ર આપ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે ખેડૂતોની રજૂઆત મુજબ અગાઉ વેચાણ  કરેલી મગફળીમાં પણ કેટલાક દાણા લાલ ટીકીવાળા હતા છતાં ખરીદી કરાઈ હતી. આથી હવે કેમ સેમ્પલ નાપાસ કરી ખરીદી ટાળવામાં આવી રહી છે તેવા સવાલો ઉભા થતા ખેતીવાડીથી લઇ સહકારી અને રાજકીય વાતાવરણ ગરમાયું છે.