આગાહી@ગુજરાત: એપ્રિલ મહિનાની આ તારીખોમાં માવઠાની આગાહી, અંબાલાલ પટેલે જણાવ્યું ક્યાં પડશે વરસાદ

 
અંબાલાલ ની આગાહી
ગુજરાતમાં સાતમી તારીખ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ હવે છેલ્લા પાંચ દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયેલુ છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એપ્રિલ મહિનામાં જ ગુજરાતના વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. આ સાથે તેમણે ગરમી વધવાની પણ આગાહી કરી છે. તેમણે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યુ છે કે, 'ગુજરાતમાં સાતમી તારીખ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. 9મી એપ્રિલથી મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો થશે.

આ સાથે તેમણે જણાવ્યુ છે કે, મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ચાર ડિગ્રી ઉષ્ણતાપમાન વધવાની શક્યતા છે.અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે, દેશના કેટલાક ભાગોમાં 12થી 18 તારીખમાં મોટો પલટો આવશે. આ પલટાને કારણે પ્રિ મોનસૂન એક્ટિવિટી શરૂ થશે. જેના કારણે ગુજરાત સહિત દેશના કેટલાય ભાગોમાં માવઠું થવાની શક્યતા છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક ઘીમો તો ક્યાંક છાંટા પડશે.

તેમણે જણાવ્યુ છે કે, 12થી 18 એપ્રિલ દરમિયાન પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ અને મધ્યગુજરાતના ભાગોમાં માવઠું થઇ શકે છે. આ સાથે હવામાન પલટા અંગેની પણ આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, કચ્છ, સુરત, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે. ગુજરાતના ઘણા ભાગના વિસ્તારોમાં ક્યાંક વરસદ તો ક્યાંક પવન તો ક્યાંક છાંટા થવાની શક્યતા છે.