આગાહી@ગુજરાત: 25 મે સુધીમાં તાપમાન 45 ડિગ્રીને વટાવશે,10 જુન સુધીમાં ચોમાસુ બેસશે

 
અંબાલાલ

17મી મેથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને ફરી મોટી આગાહી કરી છે. ઉપરાંત આ વખતે ચોમાસામાં આંધી-વંટોળ આવવાની શક્યતા પણ વધારે રહી શકે છે. જેના કારણે કાચા મકાનના પતરા ઉડી જાય તેવા વરસાદની સંભાવના રહી શકે છે. તેમણે આાગાહી કરી છે કે, ગુજરાતમાં 20થી 22 મે દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે.

આ સાથે 26 મેથી રોહિણી નક્ષત્રમાં વરસાદની શક્યતા છે. ગુજરાતમાં 7થી 10 જૂન સુધીમાં જુદા જુદા ભાગોમાં ચોમાસું બેસશે. જ્યારે 14થી 18 જૂન દરમિયાન આંધી-વંટોળ સાથે વરસાદ પડી શકે છે. ભારે પવનના કારણે મકાનના છાપરા પણ ઉડી શકે છે. તો 25મી જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું શરૂ થઈ જશે.આ ઉપરાંત અંબાલાલે કહ્યું કે, 17મી મેથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે. 25 મેથી સુધીમાં મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 45 ડિગ્રીથી ઉપર જઈ શકે. તો અમદાવાદમાં તાપમાન 46 ડિગ્રી સુધી રહી શકે છે.

ઉત્તર ગુજરાતમાં પણ ગરમીનો પારો 43 ડિગ્રી, સૌરાષ્ટ્રમાં 43 ડિગ્રી રહી શકે છે. તો 26 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે પડી શકે છે. જુલાઈ-ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે. હિન્દ મહાસાગરમાં ગરમી વધવાની પણ શક્યતા છે. આથી મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાતની હલચલ જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાં પણ 16મી મે પછી હલચલ જોવા મળી શકે છે.